અમદાવાદના કાલુપુરમાં લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીની ઓળખ આપી વેપારી સાથે 11કરોડની છેતરપિંડી આચરનાર પિતા-પુત્રને પોલીસે દિલ્હીથી ઝડપી પાડયા
અમદાવાદ: શહેરમાં એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપીને કાલુપુરના વેપારી સાથે ૧૧ કરોડની છેતરપિંડી કરનારા પિતા પુત્રની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારીને ઉંચા વળતરની લાલચ આપીને તથા ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયાના ખોટા સર્ટિફીકેટો મોકલીને વિશ્વાસમાં લઈને શીશામાં ઉતાર્યો હતો. આરોપીનો પુત્ર અગાઉ કોલ સેન્ટરમાં કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કાલુપુરમાં મસ્કતી માર્કેટમાં કાપડનો ધંધો કરતા પ્રતાપરાય એલ.આવતાની સાથે છેતરપિંડી કરનારા સૌરભગિરી બ્રિજેશ ગિરી (૨૫) અને તેના પિતા બ્રિજેશગિરી નરંશચંદ્ર ગિરી (૫૦)ની સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ૨૦૧૬માં તેમની પૌત્રીના નામે એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ વીમા કંપનીની બે પોલીસી લીધી હતી. જેના થોડા દિવસ બાદ તેમને અજાણી વ્યક્તિએ ફોન કરીને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ વીમા કંપની તેમજ બેન્કના અધિકારી તરીકેની ઓળખ આપીને ગવર્મેન્ટ બોન્ડ, શેર, મ્યુચ્યુઅલ ફંડ તથા ઈન્સ્યુરન્સ કંપનીમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે તથા રોકાણ કરેલા નાણાં ડબલ થઈ જશે કહીને વિશ્વાસમાં લીધા હતા.