ખંભાતના ધુવારણ નજીક વિધવાના ઘરમાં ઘુસી નશાની હાલતમાં આબરૂ લેવાનો પ્રયાસ કરનાર નરાધમને લોકોને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો
ખંભાત:તાલુકાના ધુવારણ ગામે આવેલા વલ્લભપુરામાં આજે બપોરના સુમારે દારૂ પીને વિધવાના ઘરમાં ઘુસીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર શખ્સને પડોશીઓ પકડીને ખંભાત રૂરલ પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેની વિધિવત ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ૨૯ વર્ષીય પરિણીતાનો પતિ ચારેક મહિના પહેલાં જ અવસાન પામ્યો હતો અને જે અંગે ખંભાત રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. દરમ્યાન આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વિધવાની બાજુમાં જ રહેતો ભગાભાઈ ઉર્ફે ભગવાનસિંહ ભારતસિંહ સિંઘા દારૂ પીને વિધવાના ઘરમાં ઘુસી ગયો હતો અને મેં જ તારા પતિનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી છે અને તને પણ જીવતી નહીં છોડું તેમ જણાવીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી વિધવાએ બુમાબુમ કરતાં પડોશીઓ દોડી આવ્યા હતા અને ભગાભાઈ ઉર્ફે ભગવાનસિંહને ઝડપી પાડીને પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પકડાયેલા શખ્સનો કબ્જો લઈને કાર્યવાહી હાથ ઘરી હતી.