મસુરી ફરવા ગયેલા મહેસાણાના 72 પ્રવાસીઓ હિમવર્ષાના કારણે રસ્તામાં 28 કલાક ફસાયા
ગોઝારીયાના વેપારી બચત મંડળના સભ્યો ફેમિલી સાથે પ્રવાસમાં : જિલ્લા કલેકટર મસૂરીના તંત્ર સાથે સંપર્કમાં
મહેસાણાના ગોઝારીયાના વેપારી બચત મંડળના સભ્યોએ તેમના ફેમીલી મેમ્બરને લઇને મસુરી ફરવા 72 જેટલા લોકો 1 જાન્યુઆરીના રોજ અમદવાદથી પ્લેનમાં દિલ્હી ગયા હતા. દિલ્હીથી બે લક્ઝરી બસ ભાડે કરીને તમામ લોકો 3 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયમાં હરિદ્રાર પહોંચ્યા હતા અને 4 જાન્યુઆરીના રોજ તેઓ મસુરીમાં પહોંચ્યા હતા. મસુરીથી જ્યારે આ તમામ લોકો શનિવારને રોજ બપોરના સમયે કંપાગાઢ થઇને પરત હરીદ્વાર પરત આવી રહ્યા હતા, તે સમયે કંપાગાઢથી અંદાજીત પાંચ કિલોમીટર દૂર ભારે હિમવર્ષાના કારણે રસ્તા પર 6 ઇંચ જેટલી બરફ જામી ગયો હતો. જેના કારણે બસ આગળ વધી શકી નહીં અને તમામ મુસાફરોને આખી રાત બસમાં જ વિતાવવી પડી હતી.
વિષ્ણુભાઈ નામના પ્રવાસીએ ટેલીફોનીક વાતચિત કરતા જણાવ્યું હતું કે, કંપાગાઢથી પાંચ કિલોમીટર બસ નીચે ઉતરતા તમામ રસ્તાઓ બરફથી જામ થઇ ગયા હતા, રસ્તો સાંકળો છે. શનિવાર બપોરના 1 વાગ્યાથી બસમાં છીએ ને રવિવારના ચાર વાગ્યા સુધી પણ રસ્તો સાફ થયો નથી. બસમાં સવાર લોકોએ ખાધુંપીધું નથી અને મોબાઈલની બેટરી પણ ખૂટી જવા આવી છે.
આ બાબતે મહેસાણાના જિલ્લા કલેકટર એચ.કે. પટેલે જણાવ્યું હતું કે, મસુરીમાં બે રસ્તાઓ સંકળા છે, ત્યાં બરફવર્ષા થવાથી રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. જેમ-જેમ રસ્તો ખુલશે તેમ-તેમ પહેલા નાના વ્હીકલ અને પછી મોટા વ્હીકલ રસ્તા પરથી આગળ વધશે અમે મસુરીના પ્રસાશન સાથે સંપર્કમાં છીએ.
મહેસાણાથી મસુરી ફરવા માટે ગયેલા 72 પ્રવાસીઓ ફસાયા હોવાના કારણે નાયબ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને SPએ સ્થાનિક તંત્રનો સાથે સપર્ક કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રવિવારે સાંજના સમયે રસ્તો ટ્રાફિકની સ્થિતિમાંથી રસ્તો ખુલ્લો થવાના સંકેત પણ મળ્યા હતા.