રાજ્યમાં દરરોજ 99 બાળકોના મોત : ભારતનું ભવિષ્ય માની કૂખમાં મુરઝાઈ છે :પરેશ ધાનાણીની ધણધણાટી
સરકાર આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ અને હોસ્પિટલોનું ખાનગીકરણ
અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલમાં બાળકોના મોત થતાં હોવાનો મુદ્દો સામે આવ્યા બાદ વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં દરરોજ 99 બાળકોના મોત થવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષના નેતાએ કહ્યું કે, ગુજરાતમાં ભારતનું ભવિષ્ય માની કૂખમાં મુઝરાય જાય છે. નવજાત બાળકોના મોત સૌ માટે ચિંતાનો વિષય છે. ગતિશીલ અને પ્રગતશીલ ગુજરાતની વાતો કરતી સરકાર આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ અને હોસ્પિટલોનું ખાનગીકરણ થઈ રહ્યું છે.
આરોગ્ય સેવાને વેપારમાં પરિવર્તિત કરવાનું ષડયંત્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં દર વર્ષે 12 લાખ શિશુ જન્મે છે 12 લાખમાંથી 30 ટકા બાળકોનું જીવન ઘોડિયામાં સમાપ્ત થાય છે. દર વર્ષે 36 હજાર બાળકો ઘોડિયામાં મૃત્યુ પામે છે. દરરોજ 99 બાળકો જન્મ લઈને મોત પામી રહ્યાં છે. સરકાર ઉત્સવો અને કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો વ્યર્થ ખર્ચ કરે છે.
સરકારી ચોપડે નોંધાયા ના હોય એવા ખાનગી હોસ્પિટલમાં મોત પામનાર બાળકોનું સત્ય સરકારે છુપાવ્યું છે. વણ નોંધાયેલા બાળકોનો મૃત્યુ દર આનાથી વધુ છે. વિધાનસભામાં સરકાર વાહવાહી કરે છે પરંતુ ભાજપના શાસનમાં સરકારી હોસ્પિટલો ઓછી થઈ રહી છે. 45 ટકા કરતા વધુ ડોક્ટરોની ઘટ રાજ્યમાં છે. ડોક્ટરો છે ત્યાં સારવારના સાધનોનો અભાવ છે તો ક્યાંક દવાનો અભાવ જોવા મળે છે. રાજ્યમાં ગંભીર કટોકટીની સ્થિતિ ભાજપે ઉભી કરી છે.