ગાંધીનગર:મકરસંક્રાતિ પૂર્વે પક્ષીઓને બચાવવા વન વિભાગ સાવચેત:ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ બેઠકનું આયોજન
ગાંધીનગર:દાન-પુણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાતાં હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની જીવાદોરી કપાઇ જાય છે.
ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને બચાવવા માટે વનવિભાગ જાગ્યુ છે અને નગરની પક્ષીપ્રેમી સંસ્થાઓ સાથે મળીને ઘાયલ પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર શરૂ કરશે. તો પતંગની દોરથી વાહનચાલકોના ગળા સેફ રહે તે માટે સેફ્ટીરોડનું વિતરણ પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અત્યારથી જ પતંગ આકાશમાં ઉડવા લાગ્યા છે. એટલું જ નહીં પતંગની ધારદોરીથી પક્ષીઓની પાંખ કપાવાના બનાવો અત્યારથી જ સામે આવી રહ્યાં છે. જેને લઇને વન વિભાગ સફાળું જાગ્યું છે અને કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગે આ ઘાયલ પક્ષીઓની સારવાર થઇ શકે તે માટે ખાસ બેઠક બોલાવી હતી.