ગુજરાત
News of Friday, 6th December 2019

રાષ્ટ્રના સીમાડા સાવચતા જાંબાઝ પ્રહરીઓ પ્રત્‍યે નાગરિક કર્તવ્‍યભાવ ઉદારહાથે ફાળો આપી વ્યકત કરીએ: મુખ્‍યમંત્રી વિજયભાઈની અપીલ

7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: ઋણ અદા કરવાનો અવસર

અમદાવાદ :મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ તા. ૭ મી ડિસેમ્‍બર નિમિત્‍તે ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજનોને અપીલ કરી છે

 ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્‍યું છે કે, આપણા રાષ્ટ્રના સીમાડાઓની સુરક્ષા સાથે દેશની રક્ષા અને આતતાયીઓના મુકાબલા માટે પોતાના પ્રાણની પરવા પણ ન કરનારા સેનાનીઓ પ્રત્‍યે ઋણ અદા કરવાનો નાગરિક કર્તવ્‍યભાવ દર્શાવવાનો આ અવસર છે  

  આ સેનાનીઓ પૂર-વાવાઝોડુ-ભૂકંપ જેવી કુદરતી વિપદાઓમાં પણ નાગરિકોના જાન-માલ બચાવ અને રાહત કામગીરીમાં દિન-રાત ખડેપગે રહે છે તેનું ઋણ અદા કરવાનો પણ આ અવસર છે, તેમ તેમણે ઉમેર્યું હતું

  સશસ્‍ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્‍યાણ માટે ઉદાર હાથે ફાળો આપી સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવા મુખ્‍યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

(7:43 pm IST)