ગુજરાત
News of Friday, 6th December 2019

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામુહિક દુષ્‍કર્મ બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઘટના સ્‍થળનું નિરીક્ષણ કર્યું: પીડિતા અને પરિવારને મળ્યા

વડોદરા :વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં સાતમા દિવસે પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પહોંચી પીડિતાના પરિવાર અને પીડિતા સાથે મુલાકાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી સાથે જ વહેલી તકે આરોપી પકડી કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગૃહરાજ્ય મંત્રીની મુલાકાતના પગલે પીડિતાના ઘરની આસપાસ લોકોના ટોળા ભેગા થયા તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગૃહરાજ્ય મંત્રીની સાથે વડોદરા પોલીસ કમિશનર, વડોદરાના સાંસદ, મહિલા ધારાસભ્યો, મહિલા મેયર અને રાજ્યના ગૃહ સેક્રેટરી હાજર રહ્યા હતા. પીડિતાના પરિવારની મુલાકાત કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત તમામ લોકો નવલખી મેદાનમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ગૃહરાજ્ય મંત્રીએ નવલખી મેદાનના ઝાડી-ઝાંખરા વાડી અવાવરું જગ્યામાં જઈને નિરીક્ષણ કર્યું. સાથે જ અધિકારીઓ અને વડોદરાના મેયર સાથે આ સ્થળ મામલે ચર્ચા કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ મેયરને રાજ્ય સરકાર પાસેથી અવાવરું જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માંગવા સૂચન કર્યું હતું.

સાથે જ પોલીસ કમિશનરને અવાવરું જગ્યામાં 24 કલાક પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા રાખવા આદેશ આપ્યા છે. નવલખી મેદાન સહિત વડોદરાના તમામ અવાવરૂ જગ્યા પર સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રીએ દુષ્કર્મની ઘટનાને ગંભીર ગણાવી અને વડોદરાની પોલીસ પર આરોપીઓ પકડી લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, દુષ્કર્મના મામલામાં ડીજીપીના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવી છે. જે કમિટી સમગ્ર કેસ પર દેખરેખ રાખી રહી છે. સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને અને ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝ અધિકારીઓને તપાસમાં જોડાવાના આદેશ પણ કરાયો છે. તો પીડિતાને ન્યાય મળે તે માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને સ્પેશિયલ સરકારી વકીલ નીમવાની વાત કરી છે. તો પીડિતાના પરિવારને રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરાશે તેવું પણ આશ્વાસન આપ્યું છે. આમ વડોદરા દુષ્કર્મની ઘટના હવે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ માટે નાકનો સવાલ બન્યો છે અને તેના જ કારણે ગૃહરાજ્ય મંત્રી સીધી જ વડોદરાની ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી પર નજર રાખીને બેઠા છે, ત્યારે હવે નરાધમો ક્યારે પકડાય છે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.

બિનસચિવાલય પરીક્ષાને લઈને શું કહ્યું...

બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ ને લઈને પરીક્ષાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. પરીક્ષાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ ગાંધીનગરના અધિકારીઓ અને વિદ્યાર્થી આગેવાનો વચ્ચે મંત્રના થઈ રહી હોવાનું કહ્યું હતું. સાથે જ સરકાર પરીક્ષાર્થીઓની તમામ માંગો વિશે સકારાત્મક વિચાર કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, સરકાર લગભગ વિદ્યાર્થીઓની તમામ માંગો માનવા તૈયાર છે. પરંતુ ગેરરીતિના જે પુરાવાઓ વિદ્યાર્થી દ્વારા મળ્યા છે તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મહેનત કરનાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેનું ખાસ સરકાર ધ્યાન રાખી રહી છે. સાથે જ સરકાર વિદ્યાર્થીઓની પડખે ઉભી હોવાનું પણ ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું. વિદ્યાર્થી દ્વારા આખી રાત ગાંધીનગર રોડ પર બેસીને આંદોલન કરાતા સરકાર હચમચી ગઇ છે ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ વિદ્યાર્થીઓ ના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે...સાથે જ વિદ્યાર્થીઓને રાતભર બેસીને આંદોલન કરવું પડે તે દુઃખની વાત હોવાનું પણ કહ્યું છે. તો ગૃહરાજ્ય મંત્રીએ કોંગ્રેસ પર પણ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે કોંગ્રેસ રાજકીય રોટલો શેકવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને કોંગ્રેસના વાતમાં ન આપવાની પણ અપીલ ગૃહરાજ્ય મંત્રીએ કરી છે. ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ એ કોંગ્રેસના નેતાઓનો હુરિયો બોલાવ્યો તેવી પણ વાત કરી. પરંતુ સરકાર પરીક્ષા રદ કરશે કે કેમ તે સવાલ પર ચૂપકીદી સાધી રાખી.

(5:02 pm IST)