હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા વડોદરાના દંપતીના બંધ મકાનમાં ચોરી
વડોદરા: પત્નીની સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા દંપતીના બંધ મકાનના તાળા તોડીને ચોરટોળકી સોના ચાંદીના એક લાખ ઉપરાંતના દાગીના ચોરી ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, ડભોઇ વાઘોડિયા રીંગરોડ પર આવેલી શ્યામલ રેસિડેન્સીમાં રહેતા મહેન્દ્ર નટવરલાલ શાહ પત્ની અને માતા સાથે રહે છે. અગાઉ તેઓ પોર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેમના પત્નીનું ઓપરેશન કરાવવાનું હોય ગતરાત્રે મકાન બંધ કરીને હોસ્પિટલમાં ગયા હતા. બીજે દિવસે સવારે પોણા સાત વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મકાનના તાળા તૂટેલા હતા. ઘરમાં તપાસ કરતા તિજોરીમાંથી ૭ હજાર રોકડા, સોનાના બે મંગળસૂત્ર, વીંટી, બુટ્ટી, ચુની ચાંદીના સાંકળા મળીને કુલ રૃપિયા ૧.૦૭ લાખની મત્તા ચોર લઇ ગયા હતા. બનાવ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.