મહેસુલ કર્મચારીઓએ હડતાલની સાથે ૮મીની GPSCની પરીક્ષાનો પણ બહિષ્કાર કર્યો
૧૭ જેટલા મુદા અંગે ૯મીથી બે મુદતી હડતાલઃ અધિકારીઓને દોડધામ
રાજકોટ, તા., ૬: રાજયના હજારો મહેસુલ કર્મચારીઓએ આવતા સોમવારથી બેમુદતી હડતાલનું એલાન આપી દીધું છે. ૧૭ જેટલી વિવિધ માંગણીઓ અંગે કોઇ નિર્ણય નહી આવતા લડતનો માર્ગ અપનાવ્યો છે.
એક સતવાર યાદી મુજબ આજ દિન સુધી એક પણ મુદાનો નિકાલ થયેલ નથી. આ બાબતે મહેસુલ મંત્રીશ્રીની મુલાકાત લેતા મહેસુલી કર્મચારી મહામંડળના મુખ્ય હોદેદારોને સાંભળવાની બાબતો એક બાજુએ રહી પરંતુ ઉધ્ધત જવાબ આપી અપમાન કરેલ છે. આ બાબતને કોઇ પણ સંજોગોમાં સાખી લેવાય તેમ નથી. જેથી અમારી માંગણીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી અને મહામંડળનું થયેલ અપમાનની સામે આગામી તા.૯ રોજથી અચોકકસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ મહેસુલી કામગીરી ઉપરાંતની કોઇ પણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરેલ છે તેમજ ખાસ કરીને આગામી તા.૮ના રોજ લેવાનાર જીપીએસસીની પરીક્ષાનો પણ બહિષ્કાર કરીએ છીએ તેવી જાહેરાત કરતા અધિકારીઓમાં દોડધામ થઇ પડી છે.