ગુજરાત
News of Friday, 6th December 2019

નરાધમોને ફાંસીના માંચડે ચઢાવવા સરકાર પ્રતિબદ્ધ

વડોદરા દુષ્કર્મ પીડિત પરિવારને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા મળ્યા : અપરાધીને ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ટોપ અધિકારીઓની સહાય લેવાશે : ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ખાતરી

અમદાવાદ, તા.૫  : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે વડોદરા શહેરની દુષ્કર્મ પિડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. મંત્રીએ પિડિતાના પરિવારજનોને સંવેદના સાથે સાંત્વના પાઠવતા કહ્યું કે, આ દુઃખની ઘડીમાં તમે એકલતાના અનુભવતા સમગ્ર રાજ્ય સરકાર તમારી પડખે છે. સાથે જ તમારે કોઈ પણ મદદ-સહાય માટે જરૂરિયાત હોય તો સીધો મારો સંપર્ક કરી શકો છો. તેમજ નરાધમ આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપીને આકરામાં આકરી સજા આપવામાં આવશે. જાડેજાએ કહ્યું હતું કે, પીડિત પરિવારને તમામ મદદ અને સહાય આપવામાં આવશે. આરોપીઓને વહેલીતકે પકડી ફાંસીના માચડે ચઢાવવા સરકાર કટિબદ્ધ છે. પીડિત પરિવારની મદદની સાથે સાથે દુખદ ઘટનાના આરોપીઓને વહેલીતકે શોધી કાઢવામાં આળશે.

                 વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતેના તાજેતરના ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં એક સપ્તાહ વીતી ગયુ છતાં હજુ નરાધમ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી ત્યારે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સામૂહિક દુષ્કર્મની સગીર પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને પીડિતા અને પરિવારને ન્યાય અપાવવાની હૈયાધારણ આપી હતી. ત્યારબાદ દુષ્કર્મ જ્યાં થયું તે નવલખી મેદાનની મુલાકાત હતી. અને પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી. દરમ્યાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મંે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી અને બનાવવાળા સ્થળની પણ મુલાકાત લીધી હતી. મને પોલીસે અધિકારીઓએ ઘટનાની વિસ્તૃત જાણકારી આપી હતી. પોલીસની જુદી જુદી ૩૨ જેટલી ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા સાથે વાત થયા પ્રમાણે અમદવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ મદદરૂપ થવા માટે કાર્યરત છે. આરોપીને કોઇપણ હિસાબે પકડીને જ રહીશું તેવો પોલીસને વિશ્વાસ છે.

વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઇપણ ખૂણે કોઇ દીકરી પર કોઇ નરામધો દુષ્કર્મ કરે તો, તેને દુષ્કર્મ કરવાવાળા નરાધમોને પકડીને ફાસ્ટકોર્ટમાં ફાંસીની સજા મળવી જોઇએ તેમ પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિથી રાજ્ય સરકાર માને છે. જે પરિવાર સાથે અને દીકરી સાથે ઘટના બની તે અત્યંત સંવેદનશીલ અને દુઃખદ છે. મને પણ આજે મળીને તેનો અહેસાસ થયો છે. આ પરિવારને ટૂંક સમયમાં વળતરની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

પીડિત પરિવારને ખાતરી

*    પીડિત પરિવારને તમામ મદદ અને સહાયતા અપાશે

*    આરોપીઓને વહેલીતકે પકડી પાડી ફાંસીના માંચડે ચઢાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

*    આરોપીઓને પકડવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ટોપ અધિકારીઓની મદદ લેવાશે

*    પીડિત પરિવાર દુખની ઘડીમાં એકલતા ન અનુભવે કારણ કે, સમગ્ર સરકાર તેમની પડખે છે

*    વડોદરાની આ દુખદ ઘટનાના નરાધમ આરોપીઓને વહેલીતકે પકડી પાડવા પ્રયાસ થશે

*    સીધો સંપર્ક કરવા માટેની પણ મંત્રીએ ખાતરી આપી

(8:50 pm IST)