ગુજરાત
News of Friday, 6th December 2019

તા.૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે શિક્ષણના પ્રશ્ને ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન થશે

ઉમાશંકર જોષીની સ્મૃતિમાં આયોજન

અમદાવાદ, તા.૫:    શિક્ષણની સમસ્યા અને સાંપ્રત પ્રવાહને લઇ જાણીતા શિક્ષણવિદ્ પ્રો.કૃષ્ણકુમાર અને જાણીતા સાહિત્યકાર ઉમાશંકર જોષીનું તા.૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે બહુ માર્ગદર્શક અને પ્રેરણારૂપ સ્મૃતિ વ્યાખ્યાન યોજાવાનું છે. જેમાં શિક્ષણજગતના મહાનુભાવો અને સામાજિક આગેવાનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપશે. શિક્ષણના સંવેદશીલ મુદ્દાઓની તલસ્પર્શી રજૂઆત કરતા આ સ્મૃતિ વ્યાખ્યાન અંગે જાણીતા શિક્ષણવિદ્ સ્વાતિ જોષીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સફળતા સામાન્ય રીતે વ્યક્તિગત સંદર્ભમાં આંકવામાં આવે છે. સામાજિક કે રાષ્ટ્રીય સંદર્ભમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવા માટે ઐતિહાસિક દ્રષ્ટિ અપનાવવી પડશે. બંધારણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે સ્વાતંત્ર્ય સંગ્રામમાથી ઉપજેલા મૂલ્યોને સમાજની પુનર્રચનાના ઉદ્દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે. એ મૂલ્યોની કસોટી પર શિક્ષણને તપાસીએ તો એની અસફળતા ઉપસી આવે છે. અસફળતાના કારણોની તપાસ શિક્ષણ વ્યવસ્થાની અંદર અને સમાજ અને શિક્ષણ વચ્ચે તાલમેલના અભાવમાં કરી શકાય. આ વર્ષે તા.૭મી ડિસેમ્બરે ઉમાશંકર જોષી સ્મૃતિ વ્યાખ્યાનમાં જાણીતા શિક્ષણવિદ્ પ્રો.કૃષ્ણ કુમારનું વકતવ્ય રાખવામાં આવ્યું છે. પ્રો. ક્રુષ્ણ કુમાર દિલ્હી વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના અધ્યાપક અને એનસીઇઆરટીના નિદેશક રહી ચૂક્યા છે. તેમણે હિન્દી અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ પદ્મશ્રી અને લંડન વિશ્વવિદ્યાલયની માનદ ડી. લિટ.થી સન્માનિત થયા છે. ભારત અને વિદેશોમાં અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. તેમના હાલના પુસ્તકોમાં ચૂડી બાજારમેં લડકી, પઢના, જરા સોચના અને પોલિટિક્સ ઓફ એજયુકેશન ઇન કોલોનિયલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. અત્યારે તેઓ પંજાબ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના માનદ પ્રોફેસર છે. તેમના વ્યાખ્યાનથી શિક્ષણજગતને ઘણું માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ય બનશે એમ શિક્ષણવિદ્ સ્વાતિ જોષીએ ઉમેર્યું હતું.

(9:52 pm IST)