નવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા જમા નહિ થતાં લાભાર્થીઓની હાલત કફોડી બની
પાલિકા અને એજન્સીના સંકલનના અભાવે લાભાર્થીઓને ઉપાધિમાં મુકાયા
નવસારી શહેરના સ્લમ વિસ્તાર દશેરા ટેકરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બની રહ્યા છે, જે આવાસોના અમુક હપ્તા સરકારમાંથી લાભાર્થીઓના ખાતામાં જમા ન થતા લાભાર્થીઓની હાલત કફોડી બની છે.
ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું સ્વપ્ન સાકાર કરવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને ૩ લાખ સહાય આપવામાં આવે છે. પરંતુ કેટલાક અટપટા નિયમો કે પ્રક્રિયાને લઈને મકાન બનવાના અધૂરા રહી ગયા છે, જેને કારણે ગરીબો ભાડાના મકાનમાં ભાડું ચૂકવીને દીવસ રાત પસાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વખતથી હપ્તાઓ જમા નથી થયાની વાતે ગરીબોને રઝડતા કર્યા છે. પાલિકા અને એજન્સીના સંકલનના અભાવે લાભાર્થીઓને ઉપાધિમાં મુકાયા છે
.યોજના પ્રમાણે શરૂઆતના ૩ હપ્તાઓ રાબેતા મુજબ આવ્યા હતા અને ત્યાર બાદ હપ્તાઓ આવવાનું બંધ થતાં લોકો બેહાલ થયા છે. ૧૭૦ જેટલી દરખાસ્ત પાલિકાએ સરકારમાં મોકલી આપી છે, જેમાંના ઘણા મકાનો તૈયાર થયા છે, તો કેટલાકનું કામ અટકી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.