અંકલેશ્વર જીઆઈડીસીમાં જયશ્રી એરોમેટીક કંપનીમાં તસ્કરની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ
તસ્કરને સીકયુરીટી ગાર્ડ સહિતના લોકોએ માર મારતાં તેનું મોત નીપજયું
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જયશ્રી એરોમેટીક કંપનીમાં ચોરીના ઇરાદે પ્રવેશેલા તસ્કરને સીકયુરીટી ગાર્ડ સહિતના લોકોએ માર મારતાં તેનું મોત નીપજયું હતું. મૃતકની ઓળખ નેત્રંગ તાલુકાના ઝરણા ગામના ટેકરા ફળિયામાં રહેતાં ૨૯ વર્ષીય નરેશ વસાવા તરીકે થઇ હતી. નરેશ વસાવા ભંગાર ચોરી કરવાના ઇરાદા સાથે કંપનીમાં પ્રવેશ્યો હતો પણ સીકયુરીટી જવાનોએ તેને ઝડપી પાડયો હતો. નરેશ વસાવાને દોરડાથી બાંધી દઇ માર મારવામાં આવતાં તેનું મોત થયું હતું.
સમગ્ર બનાવ સંદર્ભમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તસ્કરને માર મારી મોત નીપજાવવાના ગુનામાં અંકલેશ્વરના હિરેન ભુવા, દિપેન પટેલ અને બીટુ ઉત્તમ પાસવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.