ગુજરાત
News of Sunday, 6th October 2019

કાલે આઠમ : મંદિરોમાં હોમ હવનો, ખાસ પૂજાનું આયોજન

ભદ્રકાળી, અંબાજી મંદિરોમાં માતાજીનો શણગાર : ૮૦૦ વર્ષ જૂના પ્રાચીન અંબાજી મંદિરમાં તોફાનો વખતે એમઇ-૩૨ બોંબ ફેંકાયા છતાંય ચમત્કારથી કંઇ થયું નહીં

અમદાવાદ,તા.૫ : આવતીકાલે નવરાત્રિ પર્વની સૌથી અનેરૂ અને શાસ્ત્રોકત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમતે શહેરના વિવિધ વિસ્તારોમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં આઠમ નિમિતે વિશેષ પૂજા, હોમ, હવન અને નવચંડી યજ્ઞ સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવાર માતાજીના વારે જ આઠમ આવી હોઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. શહેરના સુપ્રસિધ્ધિ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર સહિત, ભુલાભાઇ પાર્ક બહુચર માતાજી, માધુપુરાના અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિતે માતાજીના અદ્ભુત શણગાર, પૂજા, મહાઆરતી, શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નવરાત્રિ દરમ્યાન અષ્ટમીની પૂજા-આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મય હોવાથી શહેરના આ માતાજીના મંદિરોમાં આઠ અને નોમ દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે. આવતીકાલે આઠમ નિમિતે અંબાજી સહિતના માંઇ મંદિરોમાં માતાજીનો વિશેષ અને ભવ્ય સાજ-શણગાર કરવામાં આવશે.

             શહેરની ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી મંદિરના ઇતિહાસ વિશે ગાદીપતિ ભૂપેન્દ્રભાઇ અને દિપેનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સદીઓ પૂર્વે જયાંથી સાબરમતી નદી વહેતી હતી, તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીઝ બ્રીજ વિસ્તારમાં કોતરો હતો અને હાલનો રિલીફ રોડ અને ગાંધી રોડનો વિસ્તાર પણ ખુલ્લો અને જંગલ જેવો હતો. એ અરસામાં આ મંદિર અને મૂર્તિની સ્થાપના થયા હોવાનું મનાય છે. લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત અંબાજી માતાની આ મૂર્તિ સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલું જૂનું છે. આ મંદિરનો ૨૦૫ વર્ષ પૂર્વે જીર્ણોધ્ધાર કરાયો હતો. અગાઉના કોમી તોફાનો દરમ્યાન આ મંદિર પર એમઇ-૩૨ પ્રકારનો બોંબ પણ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂર્તિને ઉની આંચ પણ આવી ન હતી.

          ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી મંદિર શહેરનું એકમાત્ર મંદિર એવું છે કે જયાં નવરાત્રિ દરમ્યાન આઠમ સુધી રોજ માતાજીની ૧૦૮ દિવાઓની આરતી ઉતારવામાં આવે છે. આઠમ નિમિતે આવતીકાલે રવિવારે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાશે. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞમાં સવારે પાંચ વાગ્યે શ્રીફળ હોમાશે. બીજા દિવસે નોમ(નવમી)ના રોજ સોમવારે હજારો શ્રધ્ધાળુ ભકતો યજ્ઞકુંડની ભસ્મ લેવા પડાપડી કરશે. કારણ કે, નવરાત્રિની આઠમના આ મહાયજ્ઞ અને તેની ભસ્મનું ચમત્કારિક મહાત્મ્ય હોઇ શ્રધ્ધાળુઓમાં આખુ વર્ષ પોતાની તિજોરી, ધંધા-રોજગારના સ્થળોએ સંગ્રહી રાખે છે. માતાજી ભકતો પર અનેરી કૃપા વરસાવે છે.

શ્રીરામે પણ આઠમના દિવસે હવન કર્યો હતો

અષ્ટમીએ મહાગૌરી પૂજાનો મહિમા

             માં શકિતની આરાધનામાં આઠમનું વિશેષ અને અનોખુ મહાત્મ્ય હોઇ આ દિવસે માતાજીની ખાસ પૂજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ, જાપ દ્વારા ચમત્કારિક કૃપા પ્રાપ્ત કરી શકાય છે. દેવી ભાગવત અનુસાર, આઠમના હોમ હવન અને યજ્ઞનો જબરદસ્ત મહિમા છે. શાસ્ત્ર મુજબ, ખુદ ભગવાન શ્રીરામચંદ્રજીએ આઠમના દિવસે વિશેષ હોમ-હવન કરી માતાજીને પ્રસન્ન કરી તેમની કૃપા-આશીર્વાદ મેળવ્યા હતા. જે શ્રધ્ધાળુ ભકતો નવરાત્રિ દરમ્યાન નવ નવ દિવસ પૂજા, ભકિત, તપ, જાપ, ઉપવાસ કે હોમ-હવન ના કરી શકયા હોય તેઓ પણ જો માત્ર આઠમની પૂજા અને ઉપવાસ કરે તો, તેમને માતાજીની અનન્ય કૃપા અને અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે. નવદુર્ગા સ્વરૂપમાં મહાગૌરી પૂજાનો પણ અનોખો મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયો છે. આ એ જ ગૌરી છે કે જેમણે ખૂબ આકરી તપશ્ચર્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમને પામ્યા હતા. આકરી તપશ્ચર્યાના લીધે તેમનો દેહવર્ણ શ્યામ પડી ગયો ત્યારે ભોળાનાથે અમૃત જળના છંટકાવ કરતા માતાજીનું રૂપ અદ્ભુત પ્રકારે નીખર્યું હતું. અત્યંત તેજસ્વી અને ગૌરવર્ણ પ્રાપ્ત થવાના કારણે તેઓ મહાગૌરી સ્વરૂપે પૂજાયા. મહાગૌરીની પૂજાથી અલૌકિક સિધ્ધિની પ્રાપ્તિ થતી હોવાથી તે સિધ્ધિદાત્રી પણ કહેવાય છે, શાસ્ત્રોમાં તેનું વર્ણન છે.

(8:02 pm IST)