ગુજરાત
News of Sunday, 6th October 2019

મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત : દિવ્યાંગ વેલફેર બોર્ડની રચના કરશે :પ્રમાણપત્ર માટે અમદાવાદ ધક્કા ખાવા નહીં પડે

દિવ્યાંગ કમિશનની નિમણૂંક કરાશે : દિવાળી બાદ દિવ્યાંગોને બમણી સાધન સહાય: મનની મોકળાશ કાર્યક્રમમાં અનેક જાહેરાત

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ દિવ્યાંગો સાથે મનની મોકળાશ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ દિવ્યાંગો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દિવ્યાંગ વેલફેર બોર્ડની રચના કરશે. દિવ્યાંગ કમિશનની નિમણૂંક કરાશે. દિવ્યાંગોને પ્રમાણપત્ર માટે અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે. હવે જિલ્લા સિવિલ હોસ્પિટલમાંથી પ્રમાણપત્ર મળશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને દિપાવલી ભેટ આપી છે. દિવ્યાંગોને સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો, વ્યક્તિઓ સાથે સંવેદના પૂર્ણ વાર્તાલાપ ગોષ્ઠિ કરતા તેમણે આ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે રાજ્યમાં દિવ્યાંગ લોકોના કલ્યાણ યોજનાઓ સહિતના અમલીકરણ તેમજ રજૂઆતોના સુચારુ નિર્ણયો માટે રાજ્ય સરકાર અલાયદું દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરશે

  દેશની સંસદે પસાર કરેલા દિવ્યાંગ અધિનિયમને અનુરૂપ રહીને ગુજરાતમાં દિવ્યાંગ વેલ્ફેર કમિશનરની નિમણુક કરાશે. આ કમિશનર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ વહીવટી અને નાણાકીય બાબતો અંગે પરામર્શમાં રહીને તેમની રજૂઆતના યોગ્ય સમાધાન અને દિવ્યાંગ સશકિતકરણ માટેની કાળજી લેશે.

  મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ અને દિવ્યાંગો માટે સુગમતા કરતી ઘોષણા કરતા કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવતું દિવ્યાંગ પ્રમાણપત્ર જે હાલ જિલ્લા મુખ્ય મથકે અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મળે છે તે જિલ્લાઓમાં આવેલી રાજ્ય સરકારની ૨૨ જેટલી મેડિકલ કોલેજોમાંથી પણ મળી શકશે.

દિવ્યાંગ સાધન સહાય પ્રવર્તમાન ધોરણે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦ હજાર રાજ્ય સરકાર આપે છે તે પણ આ દિવાળી બાદ બમણી એટલે કે ૨૦ હજાર પ્રમાણે અપાશે.

તેમણે સંવેદનશીલ અભિગમ દર્શાવતા એવી પણ જાહેરાત કરી કે દિવ્યાંગ બાળકો અને બાળ સંભાળ ગૃહના નિરાધાર તેમજ અન્ય બાળકો માટે વ્યક્તિ દીઠ અત્યારે રૂપિયા ૧૫૦૦ની ગ્રાન્ટ દર મહિને અપાય છે તે હવે રૂપિયા ૨૧૬૦ પ્રમાણે આપવામાં આવશે. અંદાજે ૧૦ હજાર બાળકોને આ વધારાનો લાભ મળતો થશે

મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓના પ્રતિભાવો તેમજ રજૂઆતો મોકળા મને કાને ધરીને એવો વિશ્વાસ આપ્યો કે યોગ્ય રજૂઆતો પ્રત્યે સરકાર સંવેદનશીલતાથી જરૂરી નિર્ણયો કરીને દિવ્યાંગોના જીવનમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

 

(11:04 pm IST)