ગુજરાત
News of Friday, 6th September 2019

સુરતમાં યોજાશે પાદવાની સ્‍પર્ધાઃ કોણ સૌથી મોટો અવાજ કરે છે? કોણ સરસ ગેસ છોડે છે?

બસ હવે આ જ બાકી રહી ગઇ હતી : એવોર્ડ અપાશેઃ પ્રથમ દિવસે જ ૧૦૦ લોકોનું રજીસ્‍ટ્રેશનઃ વિજેતા જાહેર કરવા જ્જ પણ નિમાશે

મુંબઇ તા. ૬ : પેટમાં ગેસ થવાની તકલીફથી જેટલો માણસને પ્રોબ્‍લેમ નથી હોતો એટલો પ્રોબ્‍લેમ જાહેરમાં ગેસ છોડવાને અને ગેસ છૂટવાની હવાને કારણે આવતા શરમજનક અવાજને કારણે હોય છે, પણ હવે એમાં શરમાવાનું નથી, કારણ કે સૌથી સરસ રીતે ગેસ છોડનારા મહાનુભાવને એવોર્ડ આપવાની જાહેરાત સુરતના વિશ્વેશ સંઘવી અને તેના ભાઇબંધોએ કરી છે. ગઇકાલે વિશ્વેશે  ફાર્ટ-સ્‍પર્ધાની જાહેરાત કરી એ એવી તે વાઇરલ થઇ કે ગઇકાલે સાંજ સુધીમાં જ તેને દેશભરમાંથી ૧પ૦ થી ર૦૦ જેટલા ફોન-કોલ્‍સ આવી ગયા અને ૧૦૦ જણે તો રજિસ્‍ટ્રેશન પણ કરાવી લીધું.

વિશ્વેશ કહે છે કે ‘આ કુદરતી પ્રક્રિયા છે, પણ એને શરમજનક રીતે જોવામાં આવે છે. આ શરમ દૂર થાય એ હેતુથી અમે આ સ્‍પર્ધાનું આયોજન કર્યુ છે. સ્‍પર્ધામાં ભાગ લેનારામાંથી સૌથી સારામાં સારી ફાર્ટ કરનારને એવોર્ડ આપવામાં આવશે.'

અગાઉ આવી કોઇ સ્‍પર્ધા આપણે ત્‍યાં થઇ નથી. વિદેશના અળવીતરાઓએ આવી સ્‍પર્ધા કરી છે, પણ એ પણ નિયમિત થતી નથી. સારામાં સારી ફાર્ટ નકકી કરવા માટે સુરત શહેરના એક રેડિયો જોકી, એક નામાંકિત વ્‍યકિત અને એક મેડિકલ એકસપર્ટને જ્જ તરીકે નિયુકત કરવામાં આવશે. જે સાઉન્‍ડ, સ્‍મેલથી માંડીને ફાર્ટ દરમ્‍યાન પડનારી તકલીફને ધ્‍યાનમાં રાખીને જ્જ કરશે. બાવીસમી સપ્‍ટેમ્‍બરે રવિવારે આ સ્‍પર્ધા સુરતના પીપલોદ રોડ પર આવેલી એક રેસ્‍ટોરાંમાં રાખવામાં આવી છે.

વાછૂટ રોકવી હાનિકારક છે

રાજકોટના જાણીતા આયુર્વેદિક ડોકટર કહે છે કે ‘વાછૂટને કયારેય રોકવી ન જોઇએ. રોકાયેલી વાછૂટ શરીરનાં દ્રવ્‍યોમાં ઇમ્‍બેલેન્‍સ ઊભું કરે છે, જે લાંબા ગાળે પાચનક્રિયાથી માંડીને લિવર અને કિડનીને પણ નુકશાન કરી શકે. અમુક લોકોની વાછૂટમાં બદબૂ હોય છે. આ બદબૂ સૂચવે છે કે પાચનક્રિયા  બરાબર નથી થતી તો સાથોસાથ મોટા અવાજ સાથેની વાછૂટનું એક સુચન એવું પણ છે કે લાંબા સમય સુધી ખોરાક વિનાનું પેટ રહયું છે. આ ઉપરાંત આ બાબતનાં બીજા કારણો પણ છે, પરંતુ આ મુખ્‍ય કારણો પૈકીનું એક છે.'

 

(10:36 am IST)