ગુજરાત
News of Friday, 6th July 2018

આણંદ તાલુકાના અજરપુરામાં વિધવાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: તાલુકાના અજરપુરા ખાતે રહેતી એક વિધવાને પ્રેમજાળમાં ફસાવીને તેણીની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધો બાંધીને નવ તોલા સોનાના દાગીના પડાવી લઈને લગ્ન નહીં કરીને તેમજ સોનાના દાગીના પણ પરત નહી આપીને વિશ્વાસઘાત કરતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર અજરપુરા ખાતે રહેતી એક વિધવાને મેલડી માતા મંદિર પાસે રહેતા નૈનેશભાઈ ઉમેદભાઈ પટેલે જાન્યુઆરી માસમાં પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેણીને તથા તેના પુત્રને અમેરિકા લઈ જવાની લાલચ આપીને અવાર-નવાર તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ વિધવા પાસેથી નવ તોલા સોનાના દાગીના પણ લઈ લીધા હતા. ચારેક મહિના સુધી વિધવાનો ઉપયોગ કર્યા બાદ તેણીને તરછોડી દીધી હતી. જેથી વિધવાએ પોતાના દાગીના પરત માંગતા જ નૈનેશે આપ્યા નહોતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી તેણીએ આણંદ રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે શારીરિક અત્યાચાર તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(5:17 pm IST)