કેબીનેટ વિસ્તરણ હમણા નહિઃ બોર્ડ નિગમોમાં નિમણૂકોની વાત ઉંટના 'લબડતા' હોઠ જેવી
રાજકોટ તા. ૬ :.. રાજય સરકારના મંત્રી મંડળમાં વીજળીક ઝડપે કુંવરજીભાઇ બાવળીયાનો ઉમેરો કર્યા બાદ હવે વિસ્તરણને સજ્જડ બ્રેક લાગી ગઇ છે. કુંવરજીભાઇ જેવા કોઇ અપવાદને બાદ કરતા હાલ મંત્રી મંડળ વિસ્તરણની કોઇ વિચારણા નથી તેમ ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. બોર્ડ- નિગમની વાતો સમયાંતરે ઉછળતી રહે છે. પરંતુ તે દિશામાં હાલ કોઇ સળવળાટ દેખાતો નથી. નજીકના ભવિષ્યમાં મંત્રી મંડળ વિસ્તરકે કે બોર્ડ નિગમમાં રાજકીય નિમણુકના ઘાણવાની સંભાવના દેખાતી નથી.
બંધારણીય જોગવાઇ મુજબ મંત્રી મંડળમાં મહત્તમ ર૭ સભ્યો લઇ શકાય છે. હાલ મુખ્યમંત્રી સહિત ર૧ સભ્યોનું મંત્રી મંડળ છે. હજુ ૬ સભ્યોનો ઉમેરો થઇ શકે તેમ છે. પૂર્વ સાવચેતી માટે એકાદ જગ્યા કાયમ ખાલી રાખવામાં આવતી હોય છે તેથી મહત્તમ પાંચ સભ્યોનો ઉમેરો થઇ શકે તેમ છે. લોકસભાની ચૂંટણી પુર્વે અથવા પછી વિસ્તરણ થઇ શકે છે. આવતા દિવસોમાં વિપક્ષી ધારાસભ્યો ભાજપમાં આવે તો તેના માટે જગ્યા રહે તેવો હેતુ હોય શકે. સંસદીય સચિવોની નિમણુકનો મુદ્ે અધ્ધરતાલ છે. ભાજપમાંથી ચૂંટાઇને મત્રી પદની રાહ જોઇ રહેલા સીનીયર ધારાસભ્યોએ મંત્રી પદ માટે અનિશ્ચિત સમય સુધી રાહ જોવી પડશે.