અંકલેશ્વર નજીક મોતાલી પાટિયા પાસે વાહનની ઠોકરે અજાણ્યા શખ્શનું મોત : વાહન ચાલક ફરાર
અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર મોતાલી પાટીયા નજીક વાહનની ટક્કરે અજાણ્યા શખ્શનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ અને વાલી વારસો ની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ અંકલેશ્વરના નેશનલ હાઇવે મોતાલી નજીક ગીરીરાજ હોટલ સામે વાહનના ચાલકે 46 વર્ષીય અજાણ્યા ઈસમને અડફેટ લીધો હતો. જી.જે.19.એક્સ.4238 નંબરની પીક અપ મહિંદ્રાનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.
અકસ્માત સ્થળેથી પસાર થઈ રહેલા ઇકો કાર ચાલક અનુજ પટેલ અને તેના મિત્રો દ્વારા ઈજાગ્રસ્ત અજાણ્યા ઈસમને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ઈસમનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ શહેર પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ અને વાલી વારસો ની શોધખોળ હાથ ધરી છે.