ગુજરાત
News of Thursday, 6th May 2021

વલસાડ જિલ્લાની શિક્ષિકાએ ૧૦ દિવસના અંતે કોરોનાને હરાવ્‍યોઃ દીકરીનો વ્‍હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્‍યો: મમ્‍મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે

સુરતની નવી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલી માતાનું દીકરીના વ્‍હાલભર્યા શબ્‍દોથી મનોબળ વધ્‍યું: કોરોનાનો આપી મ્‍હાત

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોના મહામારીમાં ઘણી બધી વસ્‍તુઓ બદલાઈ છે. પરંતુ જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્‍યેનો પ્રેમ. જે વ્‍યક્‍તિને દરેક મુશ્‍કેલીનો સામનો કરવાની શક્‍તિ આપે છે. હમેશા એમ કહેવાય છે કે, ‘માં સે બડા કોઈ યોદ્ધા નહીં હોતા', અને આ ઉકિતને અનેક જનનીઓએ સાર્થક પણ કરી બતાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે, વલસાડના  ટયુશન-ક્‍લાસીસના ૩૮ વર્ષીય શિક્ષીકા સ્‍વપ્‍નાબેન સંદિપભાઈ સેઘાવાલા.

વલસાડમાં ૯ વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્‍વપ્‍નાબેને તા.૨૪ એપ્રિલના રોજ ટોનસીલની સમસ્‍યા અને તાવ જણાતા કોવિડ-૧૯નો રેપિડ ટેસ્‍ટ કરાવતા પોઝીટીવ હતો. સાથે પરિવારના સભ્‍યોને ટેસ્‍ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્‍ટ પણ પોઝીટીવ આવ્‍યો. પછીના દિવસે સ્‍વપ્‍નાબેનને અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્‍પિટલોમાં તપાસ કરતા જગ્‍યા ન મળતા તત્‍કાલ સુરત સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લઇ તેમણે વલસાડથી સુરત એમ્‍બ્‍યુલન્‍સમાં લાવવામાં આવ્‍યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરી.

સિવિલમાં કોરોનાની નિઃશુલ્‍ક સારવાર મેળવી સ્‍વસ્‍થ થયેલા સ્‍વપ્‍નાબહેને વધુમાં જણાવ્‍યું કે, મને તા.૨૫ એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્‍સિજન પર લાવવામાં આવી હતી. ત્‍યારબાદ તબિયત સુધાર જણાતા તા.૩ મે થી નોર્મલ રૂમમાં રાખવામાં આવી. મને હોસ્‍પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છે. ઘરેથી છુટા પડયા ત્‍યારે દીકરી કશ્વી કહયું કે, મમ્‍મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે. આમ દીકરીના શબ્‍દોના કારણે મનમાં નવી શકિત અને ઊર્જાનો સંચાર થયો હતો.

તા.૪થી મેના રોજ સ્‍વપ્‍ના બહેન કોરોના મ્‍હાત આપીને ઘરે હેમખેમ પહોંચ્‍યા, અને દીકરીને ૧૦ દિવસ બાદ મળી ત્‍યારે દીકરીને મળવાનો આનંદ શબ્‍દોમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું સ્‍વપ્‍ના બહેને જણાવ્‍યું હતું.

નવી સિવિલ હોસ્‍પિટલનાં ડૉ.અમિત ગામિત અને ડૉ.ઝિનલ મિષાી દ્વારા યોગ્‍ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ ૧૦ દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્‍ત થયા હતા.

(10:03 am IST)