લોકડાઉન :42 ટકા પરપ્રાંતીય શ્રમિકો પાસે એક દિવસનું રાશન પણ બચ્યું નથી ! : સર્વે
66 ટકા કામદારો એક અઠવાડિયાથી વધારે તેમનો ઘરખર્ચ નહીં ચલાવી શકે
અમદાવાદ : એક એનજીઓ દ્વારા 3196 પરપ્રાંતીય શ્રમિકો પર કરાયેલ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આવી રીતે શટ ડાઉન થઇ જશે એ વાતથી અજાણ આવા 92.5 ટકા જૂરો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કોરોના વાયરસને લગતા લોક ડાઉન વચ્ચે 42 ટકા કામદારો એવા છે જેમની પાસે એક દિવસ માટેનું રેશન પણ બચ્યું નથી.
જો આ લોકડાઉન 21 દિવસથી વધુ ચાલ્યું તો 66 ટકા મજૂરો એક અઠવાડિયાથી વધારે તેમનો ઘરખર્ચ નહીં ચલાવી શકે.જયારે 33 ટકા કામદારોએ કહ્યું કે તેઓ તેમના વતન નહીં પણ જે શહેરમાં મજૂરી કરતા હતા તે જ શહેરમાં ફસાઈ ગયા છે અને તેમની પાસે ખોરાક, પાણી કે રૂપિયાની કોઈ વ્યવસ્થા નથી.31 ટકા મદારોએ સ્વીકાર્યું કે તેમના માથે દેવું છે અને રોજગાર વગર તેમને ભય છે કે તેઓ આ દેવું નહીં ચૂકવી શકે. કરુણતા એ છે કે આ દેવાદાર કામદારોમાંથી 50 ટકા કામદારોએ એમ પણ સ્વીકાર્યું કે જો તેઓ ઋણ નહીં ચૂકવી શકે તો લેણદાર હિંસા ઉપર ઉતરી આવી શકે છે.
24મી માર્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો કે તેઓ કામદારોને BOCW ફંડની 32000 કરોડની રકમમાંથી ચોક્કસ રકમ તેમના ખાતામાં જમા કરે જેથી તેમને રૂપિયાની ખેંચ ન રહે. હવે મહત્વની વાત એ છે કે આ સર્વેના 94 ટકા કામદારો પાસે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વર્કર્સ ID કાર્ડ જ નથી. આથી તેઓ આ ફંડનો લાભ નહીં લઇ શકે.
80% કામદારોને ભય છે કે તેમના પરિવાર માટે ખાવા પીવાનું થોડા સમયમાં પૂરું થઇ જશે જયારે 83%ને ભય છે કે તેમને લોકડાઉન પછી કામ નહીં મળે. એવું પણ જાણવા મળ્યું હતું કે આ પૈકીના 55% કામદારોને 200 થી 400 રૂપિયાના રોજ ઉપર કામ કરાવવામાં આવે છે જેમાં તેમણે સરેરાશ 4 જણના પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે.