ઉમરેઠ તાલુકાના રતનપુરામાં રાત્રીના સુમારે રસ્તા પર પાણી ઢોળવા બાબતે બે પરિવારો બાખડ્યા:પતિ-પત્ની સહીત માતાને માર મારી ઇજા પહોંચાડતા ગુનો દાખલ
ઉમરેઠ: તાલુકાના રતનપુરા ખાતે ગઈકાલે રાત્રીના સુમારે રસ્તામાં પાણી ઢોળવા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં પતિ-પત્ની અને માતાને માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભોઈ ફળિયામાં રહેતા ડાહ્યાભાઈ ધુળાભાઈ ભોઈએ ફળિયામાં આવેલા રસ્તા ઉપર પાણી ઢોળેલ હોય આ બાબતે જીગરભાઈ રઈજીભાઈ ભોઈએ ઠપકો આપતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ડાહ્યાભાઈએ લાકડી લઈ આવીને જીગરભાઈને બરડાના ભાગે મારી દીધી હતી. સુરેશભાઈ ડાહ્યાભાઈ ભોઈએ જીગરભાઈની પત્ની રાધાબેનના વાળ પકડીને રોડ ઉપર માથુ પછાડી ઈજા પહોંચાડી હતી. ટીનીબેને હાથમાં ઈંટ લઈને કપિલાબેનને જમણા કાંડા ઉપર મારીને ફ્રેક્ચર કરી નાંખ્યું હતુ. મનિષાબેને પણ રાધાબેનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.