જિલ્લાવાર ખાસ કોરોના હોસ્પિટલો તૈયાર કરાવવા જે.પી.ગુપ્તા -મુકેશકુમારને જવાબદારી
સમગ્ર સંકલનની જવાબદારી અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા હસ્તક
રાજકોટ, તા.૬: રાજયમાં નોવેલ કોરોના (કોવિડ-૧૯)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી, રાજય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ વિભાગના હુકમ અન્વયે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર-જિલ્લાઓ/આરોગ્ય વિસ્તાર સિવાયના અન્ય જિલ્લાઓ / આરોગ્ય વિસ્તારમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવાના હેતુસર ૧૦૦ બેડની ખાસ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ સાથે ઉભી કરવા અંગેની આનુષાંગિક કામગીરી સંદર્ભે (૧) શ્રી જે.પી.ગુપ્તા (આઇ.એ.એસ.), મુખ્ય રાજય કર કમિશ્નરશ્રી, અમદાવાદ અને (ર) શ્રી મુકેશકુમાર (આઇ.એ.એસ.) વાઇસ ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગરની સંબંધિત જિલ્લાઓ/આરોગ્ય વિસ્તારો માટે નિમણૂંક કરતા હુકમો કરવામાં આવેલ છે. શ્રી ગુપ્તાને ઉત્તર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા મુકેશકુમારને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લા ફાળવાયા છે.
આ સમગ્ર કાર્યવાહી ઝડપથી સમયસર પૂર્ણ થાય તે હેતુસર કામગીરીનું સર્વાગી સુપરવિઝન, સંકલન અને સમીક્ષા માટે ડો.રાજીવકુમાર ગુપ્તા, આઇ.એ.એસ., અધિક મુખ્ય સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગને નિમણૂંક અપાયેલ છે.