ગાંધીનગરના સે-7માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 95 હજારની મતાની ઉઠાંતરી કરી
ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સે-ર/એમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૯પ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઘરે પહોંચેલા પરિવારજનોને આ ચોરીની ઘટના અંગે જાણ થતાં સે-૭ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી બંધ મકાનોને તસ્કર ટોળકી નિશાન બનાવી રહી છે ત્યારે શહેરના સે-ર/એ પ્લોટ નં.૧૧પ/૧માં રહેતા અને નિવૃત જીવન ગુજારતાં નવીનચંદ્ર મણીલાલ પટેલના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે નવીનચંદ્ર ગત સોમવારે તેમનું મકાન બંધ કરીને પત્નિ તેમજ પૌત્રી સાથે તેમના વતન મહેસાણાના ગુંદરાસણ ગામે સામાજીક કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ગઈકાલે બપોરના સમયે તેમના ઘરે આવેલા કામવાળા બહેને મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ નવીનભાઈને કરી હતી અને તેઓ બપોરના સુમારે ઘરે આવી પહોંચ્યા હતા. જયાં ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક તોડી ૧૧ હજાર રૃપિયા રોકડા, ચાંદીની મુર્તિઓ, સોનાની બુટ્ટી અને સીસીટીવી કેમેરાના ડીવીઆર ચોરી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ ઘટના અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરો સામે ૯પ હજારની મત્તાની ચોરીનો ગુનો નોંધી પકડવા માટે દોડધામ શરૃ કરી હતી.