સેમેસ્ટર સિસ્ટમ માટે ત્રણ કુલપતિના અધ્યક્ષસ્થાને કમિટીની રચના
એક મહિનામાં રિપોર્ટ આવ્યા બાદ ચર્ચા વિચારણા કરીને જરૂરી સુધારા-વધારા કરાશે
અમદાવાદ :રાજ્યભરની યુનિર્વિસટી સંલગ્ન કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ માટે ત્રણ કુલપતિના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરાઈ છે જેના એક મહિનામાં અહેવાલ આવ્યા બાદ જરૂરી સુધારા વધારા કરવામાં આવશે રાજ્યનું યુનિ, સંલગ્ન કોલેજોમાં વર્ષ ૨૦૦૯-૧૦ના ગાળામાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ થઈ હતી. પરંતુ ચોઈસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ ગાયબ થતા અને તેનો એક ભાગ સેમેસ્ટર સિસ્ટમ રહી હતી છેલ્લા આઠ વર્ષમાં આ સિસ્ટમ સામે ફરિયાદો ઉઠી હતી જેના પગલે રાજ્ય સરકારે સેમેસ્ટર સિસ્ટમની ખામીઓ દૂર કરવા ત્રણ કુલપતિઓના અધ્યક્ષસ્થાને એક કમિટી રચી છે. એક માસમાં રિપોર્ટ આવ્યા પછી સુધારા-વધારા કરવામાં આવશે તેવું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરી શકે,આંતરરાષ્ટ્રીય યુનિર્વિસટીઓમાં એડમિશન મળે તે હેતુથી ૨૦૦૯-૧૦ના સમયગાળામાં ચોઈસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ લાગુ થઈ હતી. જેમાં અમુક કોર વિષયો ફરજિયાત હતા. બાકીના વિષય પસંદ કરવાની વિદ્યાર્થીઓને છૂટ મળતી હતી. કોલેજોના કલસ્ટર કરવાના હતા. જેથી વિદ્યાર્થી ત્યાં જઈને ભણી શકે.પરંતુ કમનસીબે આવું કશું થયું નહીં અને માત્ર સેમેસ્ટર સિસ્ટમ રહી ગઈ હતી છ માસના સેમેસ્ટર બાદ પરીક્ષા આવતી હતી. તેના કારણે વિદ્યાર્થીઓને ભણવાના ઓછા દિવસો મળતા હોવાની અને યુનિર્વિસટીઓએ પરીક્ષાનો બોજો વધી ગયાની ફરિયાદો કરવા માંડી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.જેમાં હાલની પદ્વતિમાં કઈ રીતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી સુધારો થઈ શકે તે અંગે કુલપતિઓએ વિદ્યાર્થી મંડળો, વાલીમંડળો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી તેના તારણો અને અભિપ્રાય સાથે રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. પ્રવેશ પરીક્ષા અને પરિણામ સમયસર આપવા ચુડાસમાએ કુલપતિઓને સૂચના આપી હતી.
તેમણે ડોક્ટરેટની ઉપાધિમાં વધુ ગુણવત્તાની જરૃરિયાત પર ભાર મુક્યો હતો. ઉપરાંત નેટ-સ્લેટની પરીક્ષા માટે કોચિંગ-માર્ગદર્શનની વ્યવસ્થા કરવા, કોલેજના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા, પ્લેસમેન્ટ માટે કેમ્પ કરવા, વર્તમાન અભ્યાસક્રમમાં ફેરફાર કરવા પડે તો તે કરવા પણ તેમણે સૂચના આપી હતી.કોમર્સ, આર્ટસ, સાયન્સ કોલેજોમાં સેમેસ્ટર સિસ્ટમ નાબૂદ નહીં થાય. વાસ્તવમાં અમલીકરણ યોગ્ય રીતે થયું નથી.પરીક્ષા લેવાય છે તેમાં ખામી છે. અભ્યાસ માટે ટાઈમ મળતો નથી તેવી ફરિયાદ છે પરંતુ તેના માટે સિસ્ટમ નાબૂદ ન થાય. સેમેસ્ટર સિસ્ટમ વગર આંતરરાષ્ટ્રીય યુનિર્વિસટીમાં એડમિશન મળે નહીં
. રિવ્યુ કમિટીમાં ગુજરાત યુનિર્વિસટી, સૌરાષ્ટ્ર યુનિર્વિસટી અને ભાવનગર યુનિર્વિસટીના કુલપતિને સભ્ય તરીકે મુક્યા છે કમિટી એક માસમાં રિપોર્ટ આપે પછી વિચારણા કરીને સુધારા અંગે નિર્ણય લેવાશે. ટેકનિકલ કોલેજોને આમા સમાવાઈ નથી. તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું હતું.