સુરતના વેસુમાં વેપારી સાથે મકાનનો સોદો કરી દંપતીએ 12 લાખ લઇ લીધા બાદ દસ્તાવેજ ન કરી આપતા પોલીસ ફરિયાદ
સુરત: શહેરના વેસુ ખાતે રહેતા વેપારી સાથે વેડરોડના મકાનનો સોદો કરી મૂળ અમરેલીના દંપત્તિએ રૂ.12 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી નહીં આપી પૈસા પણ પરત કર્યા નહોતા. એટલું જ નહીં વેપારીને દંપત્તિએ છેડતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ બીગબજારની પાછળ સ્વામી ગુણાતીતનગર સોસાયટી બંગલા નં.10 માં રહેતા 56 વર્ષીય વેપારી કરશનભાઇ અંબારામ ખોખાણીએ એપ્રિલ 2018 માં વેડ દરવાજા પાસે વિજયનગર સોસાયટી વિભાગ 1 પ્લોટ નં.33 માં આવેલા મકાનનો સોદો તેના માલિક મૂળ અમરેલીના વતની અને સુરતમાં વેડરોડ ફટાકડાવાડી મંગલગ્રુપ સોસાયટી બી/26 માં રહેતા દંપત્તિ શોભાબેન-પ્રવીણભાઈ કાળુભાઈ તળાવીયા સાથે રૂ.25 લાખમાં કર્યો હતો. જોકે, મકાન ઉપર બેન્કની હોમલોન ચાલુ હોય દંપત્તિએ બાકી હપ્તા ભરાય જાય પછી ચાર માસ બાદ દસ્તાવેજ કરી આપવાની બાહેંધરી આપી કરશનભાઈ પાસે રૂ.12 લાખ લીધા હતા અને સાટાખત કરી આપ્યો હતો.