માંડલ ખંભલાય માતાજી પરિસરમાં રવિવારથી શ્રી લક્ષ્મીજી શ્રી સુક્તમ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ
માંડલની ધરતી ઉપર 21 કર્મકાંડી ભૂદેવો દ્વારા સળંગ 36 દિવસ સુધી દરરોજના 251 પાઠનું પઠન શરૂ કરાયા
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :
તસવીરઃ- જગદીશ રાવળ (ટ્રેન્ટ) માંડલ ખંભલાય માતાજી પરિસરમાં રવિવારથી શ્રી લક્ષ્મીજી શ્રી સુક્તમ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લગભગ વિશ્વમાં સૌ પ્રથમવાર માંડલની ધરતી ઉપર 21 કર્મકાંડી ભૂદેવો દ્વારા સળંગ 36 દિવસ સુધી દરરોજના 251 પાઠનું પઠન શરૂ કરાયા છે. કુલ 1,89,756 શ્રી સુક્તમ પાઠ કરવામાં આવનાર છે. શ્રી સુક્ત પાઠ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ અનુષ્ઠાન કરવાથી દરિદ્રતા દૂર થાય, કષ્ટ,પીડા દૂર થાય અને ધનની અઢળક પ્રાપ્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. માંડલ ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા આ દુર્લભ ભગીરથ કાર્ય તારીખઃ- 4 ડિસેમ્બરના રોજ પ્રારંભ થયો છે આ અનુષ્ઠાન 8 જાન્યુઆરી સુધી ચાલશે. આ અનુષ્ઠાન અને ભારતભરમાંથી આવેલ ભુદેવોના મંત્રોચ્ચારની અનંત ઉર્જા બ્રહ્માંડમાં વસતા 7 હજાર ખંભલાય માઁ પરિવાર ઉપર પડશે. વૈશ્વિક કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને મંદિર પરીસરમાં સેનીટાઇઝેશન કરવામાં આવ્યુ તથા ભુદેવોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમ ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.