ગુજરાત
News of Saturday, 5th December 2020

ઊર્જા ક્ષેત્રની જેમ જ ગુજરાતને પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની મુખ્યમંત્રી રૂપાણીની નેમ

રાજ્ય સરકાર ગુજરાતમાંથી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે કટિબદ્ધ : વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ઊર્જા ક્ષેત્રની જેમ જ ગુજરાતને પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક સમયે કૂલ બજેટનું કદ માત્ર આઠ હજાર કરોડનું હતું, તેની સામે હાલમાં માત્ર પીવાના શુદ્ધ પાણીના આયોજન માટે રૂ. 14 હજાર કરોડનું બજેટ છે. આ બાબત દર્શાવે છે રાજ્ય સરકાર ગુજરાતમાંથી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે કટિબદ્ધ છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે. તેમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

 આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નલ સે જલના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતે પહેલ કરી છે. આ માટે વર્ષ 2021ના અંત સુધીમાં ગુજરાતના તમામ ઘરોમાં સો ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ પ્રાચીન સમયના દર્ભાવતી પ્રદેશ એવા ડભોઇ ખાતેથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ઉપરાંત પાદરા, કરજણ અને શિનોરને પીવાના પાણીના રૂ. 417.39 કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. સાથે, તેમણે કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારીમાં યાત્રાળુઓની સુવિધા માટે રૂ. 46 કરોડના પ્રવાસન કામોનો પ્રારંભ કરાવ્યો છે.

તેમણે રૂ. 71.86 કરોડના ખર્ચથી નિર્મિત ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-2નું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના 74 ગામો અને ૧૪ નર્મદા વસાહતોની 89 હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત રૂ. 184.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નર્મદા કેનાલ આધારિત વડોદરા બલ્ક પાઇપલાઇન (પેકેજ-1 અને પેકેજ-2) યોજનાનું ખાતમુહૂર્ત તેમણે કર્યું હતું. વડોદરા તાલુકાના (દક્ષિણ) 49 અને કરજણ શહેર સહિત તાલુકાના 93 અને શિનોર તાલુકાના 41 સહિત 183 ગામોને આ યોજનાથી પીવાનું શુદ્ધ પાણી મળશે.

મહી નદી આધારિત પાદરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. 161.03 કરોડના ખર્ચે નિર્માણ થનાર યોજનાનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાથી પાદરા શહેર સહિત તાલુકાના 80 અને વડોદરા તાલુકાના 8 સહિત 88 ગામો અને 34 પરાઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. સાથે, મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત પંચ જળ સેતુ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

રૂપાણીએ ગુજરાતના ભૂતકાળને યાદ કરાવતા કહ્યું કે, વર્ષ 1980થી 1990ના દાયકમાં પીવાના પાણીની સ્થિતિ એવી હતી કે રાજકોટ જેવા મહાનગરોમાં તો ટ્રેઇન મારફતે પાણી આપવું પડતું હતું. આટલું જ નહીં, ગુજરાતના ગામડાઓમાં ટેન્કરરાજ ચાલતું હતું. તેમાં બળિયા હોય તેને પાણી મળે અને નિર્બળ લોકો પાણી વિનાના રહી જતાં હતા. વળી, આ ટેન્કરરાજમાં ભ્રષ્ટાચાર પણ ફૂલ્યો ફાલ્યો હતો.

વર્ષ 2000 પહેલા ગુજરાતમાં બલ્ક પાઇપ લાઇનનું વિતરણ નેટવર્ક નજીવું હતું. પાણીની સમસ્યાને તે વખતે જોઇએ એટલી ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. તેના કારણે માત્ર બે બેડા પાણી માટે મહિલાઓને દરદર ભટકવું પડતું હતું. પણ ભાજપની સરકાર આવ્યા બાદ પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે વિસ્તૃત અને દ્રષ્ટિવંત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન મોદીએ બલ્ક પાઇપ લાઇનનું વિસ્તૃતિકરણ કરવાનું આયોજન હાથ ધર્યું ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે આવડી મોટી પાઇપ લાઇનમાંથી માત્ર હવા જ નીકળશે, તે વિરોધીઓની આજે પાણી જોઇને હવા નીકળી ગઇ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં 2610 કિલોમિટર લાંબી બલ્ક પાઇપ લાઇન દ્વારા 8689 ગામોમાં પાણી પુરવઠાની જૂથ યોજનાઓ થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેની પાછળ રૂ. 37546 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યના ગાંધીનગર, પોરબંદર, આણંદ, મહેસાણા અને બોટાદ જિલ્લામાં 100 ટકા ઘરોને નળ જોડાણ થકી ઘર આંગણે પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે, રાજ્યમાં પ્રતિ માસે એક લાખ ઘરોને નળ કનેકશન આપવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના સંકલ્પના મુજબ રાજ્યની તમામ શાળા અને આંગણવાડીઓને એક સો દિવસમાં નળ જોડાણ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેનો પ્રારંભ ૨જી ઓક્ટોબરથી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં પીવાના પાણીના 8500 કરોડના કામો તથા ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે રૂ. 14,000 કરોડના કામો ચાલી રહ્યા છે.

તેમણે વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું કે, ભૂતકાળમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હતો. તેના કારણે જનકલ્યાણના કામો થતાં નહોતા. પણ આ સરકારે ઇમાનદારીથી પ્રજા દ્વારા ભરાયેલા કરવેરાના નાણાના એક એક રૂપિયાનો વિકાસ કામો માટે પારદર્શક્તાથી ઉપયોગ કરી સુશાસનની નાગરિકોને અનુભૂતિ કરાવી છે.

મધ્ય ગુજરાતના જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઇની ચાલી રહેલી યોજનાઓના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, તેમ જણાવતા રૂપાણીએ ઉમેર્યું કે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને શુદ્ધ પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીને મીઠા કરવા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની પ્રથમ કડીના ભાગ રૂપે વડાપ્રધાન આગામી તા. 15ના રોજ કચ્છના માંડવી ખાતે આવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

તેમણે કહ્યું કે, ગુજરાતે ગુડ ગવર્નન્સ થકી લોકોની આશા-અપેક્ષા અને આકાંક્ષાઓને સાકાર કરવા સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. લોકોને ઇ-સેવા સેતુ થકી સરકારની વિવિધ સેવાનો લાભ આંગળીના ટેરવે, ઘર આંગણે આપવાના અભિયાનની ભૂમિકા પણ તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમના આયોજનમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સનું અસરકારક પાલન કરવા બદલ સૌ ઉપસ્થિતોને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સમગ્ર વડોદરા જિલ્લા માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ હોવાનું જણાવતા કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતે વૈજ્ઞાનિક અભિગમથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની વાત કરી લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પીવાના પાણીના કામો માટે નાણાકીય જોગવાઇ માટે ક્યારેય કચાશ રાખી નથી. રાજ્ય સરકાર દ્વારા રૂ.8500 કરોડના પીવાના પાણીના કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે પૈકી રૂ. 4500 કરોડના કામોના વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘નલ સે જલ’ યોજનાને સાકાર કરવા માટે ગુજરાતે પહેલ કરી છે. રાજ્યના 91 લાખ ઘરો પૈકી અત્યાર સુધીમાં 73 લાખ ઘરો સુધી નળ મારફત પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાના ગામડાઓ માટે પણ પીવાના પાણીનું અસરકારક આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રારંભમાં પાણી પુરવઠા બોર્ડના સચિવ ધનંજય દ્વિવેદીએ સૌને આવકારી યોજનાની રૂપરેખા આપી હતી. અંતે કલેક્ટર શાલિની અગ્રવાલે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે મંત્રી દિલીપ ઠાકોર, નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ, સાસંદ રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણ, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ, જીતેન્દ્ર સુખડીયા, મધુ શ્રીવાસ્તવ, મનિષાબેન વકીલ, સીમાબેન મોહિલે, પાણી પુરવઠા અને યાત્રા ધામ વિકાસ બોર્ડના અધિકારીઓ, બજાર સમિતિના હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:13 pm IST)