મહેસાણાના સતલાસણા તાલુકામાં સગીરાને લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સતલાસણા:તાલુકાના એક ગામડામાં રહેતા ખેતમજુર પરિવારની સગીરવયની દિકરીને લલચાવીને ભગાડી ગયા બાદ યુવકે તેની મરજી વિરૃધ્ધ કુકર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સતલાસણાના ગામડામાં રહેતા પશુપાલક અને ખેતમજુર પરિવારની સગીર વયની દિકરી પોતાના ઘરમાં સઇ રહી હતી. તે વખતે પરોઢીયાના સુમારે તેની માતા તબેલામાં ભેંસો દોહવા જતાં તેણી એકાએક ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ સગીરાને શોધવા આસપાસ તપાસ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ચારેક દિવસ બાદ ગામમાં થતી વાતો પરથી જાણવા મળેલ કે સગીરાને ધારાવણીયા ગામનો પ્રવિણ ભવાનસિંહ પરમાર ભગાડી ગયો છે. જેથી તે દિશામાં સબંધીઓ દ્વારા તપાસ કરાવતાં સગીરા અને પ્રવિણ મળી આવ્યા હતા અને બન્નેને સતલાસણા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે પ્રવિણ લલચાવી ફોસલાવીને સગીરાને ભગાડી ગયો હતો. જ્યારે તેણીની મરજી વિરૃધ્ધ યુવકે બે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.