વડોદરાના પ્રતાપનગરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 8 તોલા દાગીનાની ઉઠાંતરી કરી
વડોદરા: શહેરના પ્રતાપનગર તેજાબ મીલની ચાલીમાં રહેતા પરિવારના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડીને ચોર ટોળકી ૮ તોલાના સોનાના દાગીના તેમજ ચાંદીના છડા ચોરી ગઇ હતી.
તેજાબમીલની ચાલીમાં રહેતા મનિષાબેન કીરીટભાઇ પરમાર ગત ૨જી તારીખે પરિવાર સાથે ડભોઇ રોડ આદિત્ય કોમ્પલેક્ષમાં રહેતા માતાના ઘરે રહેવા ગયો હતો. વહેલી સવારે સાડા ચાર વાગ્યે પાડોશીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરતા મનિષાબેને ઘરે આવીને જોયુ તો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને લાકડાના કબાટમાંથી ચોર ટોળકી એલ્યુમિનિયમની પેટી લઇ ગઇ હતી. જેમાં સોનાનું મંગળસુત્ર, બંગડીઓ, ચેન અને સેટ મળીને ૮ તોલાના દાગીના તેમજ ચાંદીના બે જોડી છડા હતા. વાડી પોલીસે ૯૫ હજારની ચોરીની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સોનાના ૮ તોલા દાગીનાની હાલની બજાર કિંમત જ ચાર લાખ ઉપરાંત થાય છે.