ગુજરાત
News of Wednesday, 5th December 2018

નોકરી આપવાના સરકારના પ્રયાસની કોંગ્રેસ નિંદા કરે છે

કોંગ્રેસના શાસનમાં ક્યારેય નિયમિત ભરતી થતી ન હતી : કોંગ્રેસ નકારાત્મક પ્રવૃત્તિ કરી રહી છે : ભરત પંડ્યા

અમદાવાદ,તા.૫ : ભાજપ પ્રદેશ પ્રવક્તાએ વિપક્ષનાનેતા પરેશ ધાનાણીએ રોજગારી અંગે કરેલાં નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું, કે કોંગ્રેસ હમેશાં ઉશ્કેરાટ અને ભડકાવવાની વાત કરીને પોતાનાં રાજકીય રોટલા શેકવાની પ્રવૃતિ કરી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસનાં શાસન વખતે પણ ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબરે રહ્યું હતું. અને આજે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં  ભાજપ સરકારમાં  ગુજરાત રોજગારીમાં પ્રથમ નંબરે છે. તે હકીકત છે. કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપોનો જવાબ આપતાં ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં કયારેય નિયમિત રીતે ભરતી યોજાતી ન હતી. જે નોકરીમાં નિમણુંક કરવામાં આવતી હતી તે પારદર્શક ન હતી. જેનાથી લાખો હોંશીયાર યુવાનોને અન્યાય થતો હતો. જયારે ભાજપના શાસનમાં દર વર્ષે પ્રાઈવેટ સેકટર માટે રોજગારી મેળા પ્રતિ વર્ષે યોજીને છેલ્લા પાંચ વર્ષમાં ૫,૨૬૯ ભરતી મેળા યોજીને ૧૦,૦૯,૬૫૨ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડી છે. એટલું જ નહીં સરકારી ક્ષેત્રમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભરતી યોજવામાં આવતી હોય છે. ગયા વર્ષે ૧,૦૦,૦૦૦ સરકારી નોકરી અપવામાં આવી હતી. આ વર્ષે સતત ભરતીની પ્રક્રીયા ચાલુ છે. તેમજ મુદ્રા યોજના અંતર્ગત સમગ્ર રાજયમાં છેલ્લા ૪ વર્ષમાં ૪૪,૨૦,૬૨૩થી વધુ લાભાર્થીઓને રૂ.૩૦,૪૬૮ કરોડનું ધિરાણ કરીને લાભાર્થીઓને પગભર કરવામાં આવ્યાં છે. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે જયારે સરકારી નોકરીની ભરતી બહાર પડે એટલે યુવાન, યુવતીઓ દ્રારા અરજી કરવામાં આવે તે સ્વાભાવિક છે. દરેક ને સરકારી નોકરી મળે તેવી વધુ ઈચ્છા હોય છે. તે તેમનો અધિકાર પણ છે. તે અધિકારને કોંગ્રેસ સંખ્યાત્મક રીતે દર્શાવીને ઉશ્કેરાટ અને અપપ્રચાર ફેલાવવામાં ઉપયોગ ન કરવો જોઈએ. કોંગ્રેસ પારદર્શકતાનો વિરોધ કરે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે એકશનનો વિરોધ કરે છે. કોંગ્રેસે ભૂતકાળમાં વાઈબ્રન્ટનો વિરોધ કરીને ગુજરાતમાં મૂડીરોકાણ ન આવે તેવાં ષડયંત્રો રચ્યા હતાં. હવે સરકારનાં નોકરી આપવાનાં પ્રયાસની પણ કોંગ્રેસ નિંદા કરે તે યોગ્ય નથી. કોંગ્રેસની મેન્ટાલીટી સંપૂર્ણ નકારાત્મક અને ખંડનાત્મક છે. ગુજરાત રોજગારીનાં આંકડાઓ ધ્યાનમાં લીધાં વગર અપપ્રચાર કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને ગુજરાતનાં હિતમાં નહીં ગુજરાતને બદનામ કરવામાં રસ છે. પંડયાએ કોંગ્રેસનાં વિપક્ષના નેતાને જવાબ આપતાં જણાવ્યું હતું, કે પેપરલીક કમનસીબ અને પીડાદાયક ઘટના છે, પરંતુ પુનઃપરીક્ષા લેવાનાં નિર્ણય અને કસૂરવારોને પકડીને ગેરરીતી કરનારા ગુનેગારોનું નસીબ ફૂટ્યું છે. સરકાર કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને છોડવાની નથી. હોંશિયાર, પરીશ્રમી અને પ્રમાણિક લોકોનાં નસીબને સરકારે પુનઃપરીક્ષા માટે અકબંધ રાખ્યુ છે.  કોઈપણ શહેશાહ રાખ્યાં વગર એક પછી એક ગુનેગાર પકડાઈ રહયાં છે. પોલીસ તંત્ર દ્રારા રોજેરોજ સંપૂર્ણ પારદર્શકતાથી મીડીયા દ્રારા સમગ્ર ઘટનાક્રમ જનતા સમક્ષ મૂકવામાં આવી રહયો છે.

(8:29 pm IST)