આણંદમાં રખડતા શ્વાનનો બેફામ આતંક: 24 કલાકમાં 27 લોકોને બચકા ભરી લેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
આણંદ:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ બેફામ બન્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૭ જેટલા વ્યક્તિઓને શ્વાને બચકાં ભર્યા હોવાના કેસ આણંદની જનરલ હોસ્પિટલમાં નોંધાયા છે. પાલિકા તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વધુમાં જાગૃત નગરજનોના જણાવ્યા મુજબ રખડતા પશુઓની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરમાં રખડતા શ્વાનનો આતંક પણ બેફામ બન્યો છે. આણંદ શહેરના ગુરૂદ્વારા સર્કલ તથા ચોકસી બજાર સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાંઓના કારણે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને શ્વાન કરડવાની ભીતિ કોરી ખાઈ રહી છે. ખાસ કરીને વહેલી પરોઢ તેમજ મોડી રાત્રિના સુમારે ગલીએ ગલીએ રખડતા કૂંતરાઓનો આતંક બેફામ બન્યો છે ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.