નામદાર હાઈકોર્ટના આદેશના પગલે ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે: શિક્ષણ મંત્રી ચુડાસમા
અમદાવાદ:હાલમાં જ્યારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની ફી સંબંધે આજે નામદાર હાઈકોર્ટે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા જે આદેશ કર્યો છે તે આદેશના પગલે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ શાળા સંચાલકો સાથે બેઠક યોજશે, તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
આજે નામદાર હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ પીઆઈએલના સંદર્ભમાં આપેલ વિગતવાર ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. નામદાર હાઇકોર્ટે તેના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે આ નિર્દેશના અનુસંધાને નજીકના દિવસોમાં જ શાળા સંચાલકો સાથે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે બેઠક કરવામાં આવશે