ગુજરાત
News of Wednesday, 5th August 2020

500 વર્ષ બાદ લોકોમાં ઉત્‍સાહનો થનગનાટઃ અમદાવાદમાં વિશ્વ હિન્‍દુ પરીષદ-બજરંગદળ દ્વારા આતશબાજી-મહાઆરતીઃ નીતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિ

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .

રામ મંદિરને લઈને દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના ઉસમાનપુરા ખાતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે VHP અને બજરંગદળના કાર્યકરો દ્વારા હર્ષોઉલ્લાસ સાથે કાર્યક્રમ યોજાયો. 108 દિવાની આરતી અને ફટાકડા ફોડી લોકોએ આ ખાસ ઉત્સવને મનાવ્યો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનેક લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવામાં આવ્યો. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને વર્ષો પછી થયેલી આ જીતને વધાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

જગન્નાથ મંદિરમાં મહાઆરતી કરાઈ

આજે દેશમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી છે. 12.39 મિનિટે મહા આરતીનું આયોજન કરાયું હતું. આજના દિવસ ઐતિહાસિક છે, જેને લઈ આરતીનું આયોજન કર્યું હતું. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં પણ મહાઆરતી કરાઈ હતી. ભગવાન જગન્નાથને વિશેષ શણગાર કરાયો હતો. ફૂલોથી જય શ્રી રામ લખવામાં આવ્યું હતું.

ભાજપ કાર્યાલયમાં ભવ્ય રંગોળી કરાઈ

ભાજપના પ્રદેશ કાર્યાલયમાં આ ખાસ દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાર્યાલયમાં ભવ્ય રંગોળી કરવામાં આવી છે. તો કાર્યાલય બહાર રામ મંદિર શિલાન્યાસને નિહાળવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યાલયને ફુલો અને રંગોથી સજાવવામાં આવ્યું છે. કાર્યાલય પર ભક્તિ સંગીતની સૂરો વચ્ચે કાર્યકરો ભગવાન રામના મંદિર શિલાન્યાસ કાર્યક્રમને નિહાળશે. ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યાં છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન રામમંદિર નિર્માણમાં 11 કિલોની ચાંદીની પાટ અર્પણ કરાશે

ભારત ભવ્ય ઈતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા અયોધ્યામાં બનનાર શ્રી રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરના નિર્માણ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શુકન રુપે 11 કિલો ચાંદીની પાટ અર્પણ કરવામાં આવી છે. આ સાથે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ મંદિર ખાતે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન પણ કરાયું છે.

(5:25 pm IST)