ગુજરાત
News of Wednesday, 5th August 2020

કોરોનાનો ભય

કાંધ આપવાથી ડરે છે પરિવારજનો : અંતિમવિધિ માટે પણ અપાય છે કોન્ટ્રાકટ

અંતિમ વિધિ કરી આપતી ફયુનરલ સ્ટાર્ટઅપ કંપનીઓની માંગ વધી

અમદાવાદ તા. ૫ : કોરોનાનો ભય લોકોમાં એટલો ઘર કરી ગયો છે કે પરિવારમાંથી કોઈને કોરોના ન હોય અને બીજા કોઈ કારણે મૃત્યુ પામે તેમ છતા તેમની અંતિમક્રિયા માટે પણ જવાથી ડરે છે. ફકત ખૂબ જ નજીકના સગા-સંબંધીમાંથી પણ કોઈક જ કાંધ આપવા કે પછી અંતિમક્રિયાની વિધિ કરવા માટે તૈયાર થતા હોય છે.

તાજેતરમાં અમદાવાદના આંબલીમાં રહેતા ૬૭ વર્ષના વ્યકિતને મૃત્યું સામાન્ય કારણોને કારણે થયું. કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતા તેમને અંતિમ ક્રિયા માટે લઈ જવા પરિવારના ફકત બે જ વ્યકિત હાજર હતા. તેમજ પરિવારના સભ્યો પણ સમજતા હતા કે આ કોરોના સમયમાં તેઓ પડોશી કે અન્ય સગાઓ પાસેથી એવી અપેક્ષા રાખી શકે નહીં કે અંતિમ ક્રિયામાં સામેલ થાય. જેથી તેમણે અમદાવાદ શરું થયેલી અંતિમ ક્રિયા કરી આપતી સ્ટાર્ટ અપ કંપની મોક્ષ-શિલને ફોન કર્યો.

મોક્ષ-શિલના ફાઉન્ડર બિલ્વ દેસાઈએ કહ્યું કે 'અમે સામાન્ય રીતે આ ક્રિયા યોગ્ય રીતે થાય તે માટે એક હેલ્પરને તમામ જરૂરી વસ્તુઓ સાથે મોકલતા હોઈએ છીએ પરંતુ આ પરિવારે ૪ વ્યકિતઓ મોકલવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું તેમની પાસે મૃત વ્યકિતને કાંધ આપવા માટે ૪ વ્યકિત પણ નથી. અમે તેમની મનોવ્યથાને સમજયા પણ પરંતુ ફકત બે જ વ્યકિતને મોકલી શકયા.' કોરોના કારણે અંતિમ ક્રિયાની આખી પદ્ઘતી જ બદલાઈ ગઈ છે. જેઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે મૃત્યુ પામે છે તેમના મૃતદેહને તો સીધા હોસ્પિટલમાંથી જ સ્મશાન લઈ જવામાં આવે છે. પરંતુ જેમને કોરોના નથી થયો તેમના માટે અંતિમ ક્રિયામાં ફકત ૨૦ જ વ્યકિતઓ સામેલ થઈ શકે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે.

જોકે ઘણીવાર આ ૨૦ વ્યકિતઓ પણ ભેગા નથી થઈ શકતા હોતા. નવરંગપુરાના રહેવાસી ચંદ્રેશ દેસાઈએ કહ્યું કે 'આ સમયમાં જો કોઈની અંતિમ યાત્રા કાઢવાની હોય તો પરિવારમાંથી પણ ચાર કાંધ આપવાવાળા શોધવા મુશ્કેલ બની ગયું છે. તેમજ અંતિમ ક્રિયાની વિધિ સમાન્ય રીતે પરિવારના વૃદ્ઘો ગાઇડ કરીને કરાવતા હોય છે પરંતુ હવે જયારે વૃદ્ઘોને જ કોરોનાનો ભય વધારે છે ત્યારે તેઓ આમાં સહભાગી થવાનું ટાળે છે.'

આ કારણો છે જેને લઈને હવે ઘણા પરિવારમાં અંતિમ ક્રિયા માટે પ્રોફેશનલ્સને રાખવામાં આવે છે. જેઓ અંતિમ ક્રિયામાં જરુરી તમામ વસ્તુઓ લઈ આવે છે અને પરંપરા પૂર્વક સમગ્ર અંતિમ ક્રિયાની વિધિ પૂર્ણ કરે છે. મોક્ષ-શિલના બિલ્વ દેસાઈએ કહ્યું કે કોરોના પહેલા અમારી પાસે મહિને આવા ૨૫-૩૦ કોલ આવતા હતા. પરંતુ હવે આ આંકડો ડબલ થઈ ગયો છે. મોટાભાગે અમારી આ સર્વિસ લેનારા બીજા શહેરો, રાજયો અથવા દેશમાં રહેતા હોય છે. છેલ્લા બે મહિનામાં અમારી પાસે વિદેશથી પણ ઘણા કોલ આવ્યા છે અને અમે ૧૫ જેટલી અંતિમ ક્રિયાનું લાઇવ સ્ટ્રિમિંગ પણ કર્યું છે. જેમાં મોટાભાગના અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાથી આવે છે.

કોરોનાના કારણે અંતિમ વિધિનો ખર્ચ પણ વધી ગયો છે. પહેલા જે હેલ્પર માટે રૂ. ૪૫૦ ચૂકવવા પડતા હતા તેના માટે હવે રૂ. ૮૦૦ ચૂકવવા પડે છે. કારણ કે અંતિમ ક્રિયામાં જોઈતી તમામ વસ્તુઓને સેનેટાઇઝ કરીને ઉપયોગ કરવામાં આવે છે. જે હેલ્પર આવે છે તે પણ પીપીઈ કિટ અને પૂર્ણ કોવિડ તકેદારી સાથે આવે છે. આ સાથે આ વિધિ કરાવતા પંડિતોની પણ ખોટ પડી રહી છે. વ્યકિતગત આરોગ્યને ધ્યાને લઈને ઘણા બ્રાહ્મણો જે પહેલા અંતિમ વિધિ કરાવતા હતા તેઓ હજુ પણ અંતિમ વિધિ કરાવવાથી દૂર રહે છે. કર્ણાવતિ વિદ્વત પરિષદના પ્રમુખ અને ગાયત્રી પરિવારના સભ્ય એવા સમીર શાસ્ત્રીએ કહ્યું કે ઘણા બ્રાહ્મણો ડાયાબિટિઝ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાથી પીડાતા હોવાની સાથે મોટાભાગે ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના છે.

(10:35 am IST)