ખંભાત રૂરલ પોલીસે આજીવન કેદની સજા ભોગવતો આરોપી ફરાર થઇ જતા કલોદર ચોકડી નજીકથી ઝડપ્યો
ખંભાત: રૂરલ પોલીસે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને મધ્યસ્થ જેલ વડોદરાથી પેરોલ પર છુટીને ફરાર થઈ ગયેલા શખ્સને કલોદરા ચોકડી પાસેથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સને ૨૦૧૪માં વટાદરા ગામે થયેલી એક હત્યામાં ભાવેશભાઈ મફતભાઈ ઠાકોરને આણંદની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી જેથી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાંથી પેરોલ રજા મંજુર કરાવીને બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. જે અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે તેના વિરૂદ્ઘ ફરારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન આજે રથયાત્રાના બંદોબસ્ત દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, ભાવેશ ઠાકોર કલોદરા ચોકડી ખાતે આવવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન કંસારી તરફથી ચાલતા ચાલતા આવતાં ભાવેશ ઠાકોરને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.