ગાંધીનગર: તંત્ર દ્વારા આર્થિક શોષણનો કોઈ રસ્તો ન કાઢતા ટીબી વિભાગના કર્મચારીઓનું આંદોલન
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ટીબી જેવા ચેપી રોગના દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. આ રોગને દુર કરવા માટે પાયાની ભુમિકામાં રહેલા અને મહત્વના એવા કરાર પદ્ધતિથી કામગીરી કરી રહેલાં કર્મચારીઓ દ્વારા અવાર નવાર વિવિધ લાભો માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા તેનું નિરાકરણ નહીં આવતાં ના છૂટકે રોષે ભરાયેલાં કર્મચારીઓ દ્વારા આંદોલન કરીને લડત ચલાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વર્ષ ૧૯૯૭થી ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ટીબી જેવા ચેપી રોગના દર્દીઓના રોગને મટાડી શકાય તે માટે કર્મચારીઓની કરાર પદ્ધતિથી ભરતી કરવામાં આવી હતી. વર્ષોથી આરએનટીસીપી કરારબધ્ધ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો તેમજ મેડિકલ સહાય અને રજાઓ સહિત કરારનવિનિકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી અને કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં ત્યારે હાઇકોર્ટે આ તમામ લાભો આપવા માટે પણ આદેશ કર્યા હતાં છતાં તેનો ભંગ કરવામાં આવ્યો હતો.