ગુજરાત
News of Tuesday, 5th June 2018

ખેડા નજીક નર્મદા નહેરમાંથી પ્રેમીપંખીડાંની લાશ મળી આવતા ચકચાર

ખેડા: જિલ્લામાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડા દ્વારા આપઘાત કરવાના કિસ્સામાં ઉછાળો આવ્યો છે. એક વધુ બનાવમાં કઠલાલ તાલુકાના અપ્રુજી નર્મદા નહેરમાંથી સાથ જીયેંગે, સાથ મરેંગેના કોલ સાથે આપઘાત કરેલ પ્રેમીપંખીડાની લાશ મળી આવી છે. આ બનાવની જાણ થતા કઠલાલ પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતકોની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના અપ્રુજી સીમમાંથી નર્મદા નહેર પસાર થાય છે. આ નર્મદા નહેરમા પાણીમાં આજે બપોરે બે લાશો તણાઈ આવેલી જોવા મળી હતી. જેની જાણ થતા આજુબાજુના લોકો લાશ જોવા નહેર ઉપર દોડી ગયા હતા. આ બનાવની જાણ કઠલાલ પોલીસને થતા કઠલાલના પોસઈ બારોટ પોલીસ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બંને યુવક-યુવતીની લાશ બહાર કઢાવી હતી. જેમાં ૩૦ થી ૩૫ વર્ષના આશરાના યુવક-યુવતીએ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોઈ તેમજ પરિણીત હોઈ તેમના સંબંધને સમાજ નહીં સ્વીકારે જેથી હતાશ થઈ યુવક-યુવતીએ સાથ જીયેંગે, સાથ મરેંગેના કોલ સાથે નહેરમાં કૂદી પડી જિંદગીને અલવિદા કરી હોવાનું જણાઈ આવેલ છે.

વધુમાં આ પ્રેમી પંખીડા ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક બારડોલીના હોવાનું બહાર આવ્યું છે તેમજ યુવક-યુવતીના સગા સંબંધીઓ પણ ઘટના સ્થળે આવવા નીકળી ગયાનું જાણવા મળેલ છે. આ લખાય છે ત્યારે હજુ સુધી મૃતકના વાલી વારસો હજી ઘટના સ્થળે આવ્યા ન હોઈ યુવક યુવતીના નામ જાહેર કરાયા નથી.

(5:45 pm IST)