ગુજરાત
News of Tuesday, 5th June 2018

ધો. ૧૨ પછી શું? કોંગ્રેસ દ્વારા ૧૫૦ થી વધુ અભ્યાસક્રમોની માહિતી સાથેનું પુસ્તક

અમદાવાદ તા.૫: ''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે, હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત તેરમાં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકોથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે.

કેન્દ્રની યુપીએ સરકારે નેશનલ નોલેજ નેટવર્કની સ્થાપના કરી દેશની ૪૦૦ થી વધુ યુનિવર્સિટી અને ૧૦૦ થી વધુ રાષ્ટ્રીય સંસ્થાઓને એકબીજા સાથે જોડી દીધી છે અને દેશમાં ૧૯ હજાર નોલેજ નેટવર્ક નોડ ઉભા થયા છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઇઆઇટીની સાથે સેન્ટ્રલ યુનિવર્સિટીની પણ સ્થાપના થઇ છે, ગુજરાત માટે ગોૈરવરૂપ અને સિમાચિહ્નરૂપ છે.

સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તુટતુ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉચુ થતું જાય છે. ગુજરાતમાં સોૈને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્ન રાજય સરકાર દ્વારા ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઇ રહયું છે. રાજય સરકારે ગુણવતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપમાં વધારો કરીને આર્થિક પીઠબળ પુરૂ પાડવું જોઇએ. રાજયની ઇજનેરી-ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, સરકારી કોલેજોના ૬૦ ટકાથી વધુ અધ્યાપકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્યક છે. ''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડો. મનિષ દોશી, ડો. વિજય દવે, નિશીત વ્યાસ, કિર્તન જાની અને હિરેન બેન્કર ને કોંગ્રેસ પક્ષ તરફથી હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શુ? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ની પરિક્ષામાં સફળતા મેળવનાર સર્વે વિદ્યાર્થી મિત્રોને ખુબ-ખુબ અભિનંદન. જીવનમાં પ્રગતિ માટે ધોરણ-૧૨ પછી સાચા અને રસના અભ્યાસક્રમની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. વિદ્યાર્થી મિત્રોને સાચા માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને પ્રવકતા ડો.મનિષ દોશી (એન્જીનીયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શન ઇ-બુક ''કારકિર્દીના ઊંબરે ધોરણ૧૨ પછી શું?'' પ્રસિધ્ધ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રસંશનીય છે.

સતત તેરમાં વર્ષે ''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડો. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યંુ હતું કે, ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ -૧૨ પછી ઉપલબ્ધ ૧૫૦ થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

''કારકિર્દીના ઊંબરે'' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઇ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઇટwww. gujaratcongress.in અને www. careerpath.info ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. (૧.૩)

(4:01 pm IST)