ગુજરાત
News of Tuesday, 5th June 2018

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ :સ્વર્ણિમ સંકુલમાં જૂની ઓફિસોની સાફ-સફાઈ:મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ

મુખ્યમંત્રીને અચાનક દિલ્હીનું તેડું :નવા મુખ્યમંત્રીના નામ ઉછળ્યું અને નીતિનભાઈ પટેલ નારાજ હોવાના મેસેજ વચ્ચે નવાજૂનીનાં એંધાણ

અમદાવાદ:ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ શરુ થયાનું મનાય છે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના પાસા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં કંઈક રંધાઈ રહ્યાંનું માને છે તેવામાં હવે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં જૂની કેબિનોમાં સાફ-સફાઈ શરૂ કરવામાં આવતા ટૂંક સમયમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની અટકળોને વેગ મળ્યો છે.

  ગત મહિનાના અંતમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને એકાએક દિલ્હીનું તેડું આવતા મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની અટકળો તેજ બની હતી.અને મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ  રૂપાણીને હટાવીને અન્ય કોઈને બેસાડાશે. નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાનું નામ પણ ઉછળ્યું હતું. જોકે, માંડવિયાએ પોતે સીએમ પદની રેસમાં હોવાનો અને વિજયભાઈ  રૂપાણી સીએમ રહેશે તેવો ખુલાસો કર્યો હતો.

 બીજીતરફ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ નારાજ હોવાના મેસેજ પણ વાઈરલ થયા હતા. જોકે, નીતિનભાઈ  પટેલે પણ મેસેજને વિરોધીઓની ચાલ જણાવી પોતે નારાજ હોવાની વાતને અફવા ગણાવી હતી. જોકે, નજીકના ભવિષ્યમાં રાજ્યના મંત્રીમંડળમાં આશ્ચર્યનજક ફેરફારો થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

  દરમિયાનમાં સ્વર્ણિમ સંકુલના બીજા અને ત્રીજા માળે જૂની ઓફિસોમાં એકાએક સફાઈનું કામ હાથ ધરવામાં આવતા મંત્રીમંડળમાં ફેરફારોની અટકળો ફરી શરૂ થઈ ગઈ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ગુજરાતમાં કોઈ રિસ્ક લેવા માગે તે સ્વાભાવિક છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જો લોકસભામાં પણ ભાજપની બેઠકો ઘટે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને અમિતભાઈ શાહની જોડીને નીચા જોવા પણું થાય. એવી કોઈ સ્થિતિ ઊભી થાય માટે ભાજપે અત્યારથી રાજ્યમાં નારાજ ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને મનાવવા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનની ઈફેક્ટ લોકસભા ચૂંટણી પર પડે તે માટે સરકારે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. પાટીદાર આંદોલન બાદ સરકારે બિન અનામત વર્ગ આયોગ તેમજ નિગમની રચના દીધી હતી. હવે, તાજેતરમાં સરકારે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે. જેનો ઉપયોગ સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા પાટીદારો કરી શકશે. સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને ઘેરવા માટે તેના જૂના સાથીઓ વરૂણ પટેલ અને રેશ્મા પટેલને મેદાનમાં ઉતારી દીધા છે.

  આમ, આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવખત ગરમાવો આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ હજુ નવા આશ્ચર્યજનક ઘટનાક્રમો જોવા મળી શકે છે

(10:34 pm IST)