ગ્રામ્ય સ્તરે RT-PCR ટેસ્ટ, નિષ્ણાંત તબીબો મુકો અને પ્રાથમિક સુવિદ્યાઓ શરૂ કરોઃ કોંગ્રેસની માંગ
કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રીની મુલાકાત કરીને ચિંતા વ્યક્ત કરી : શાળાઓમાં દર્દીઓને આઇસોલેશનની સુવિધા વધારવા માટે તાકીદ
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને ચિંતાનો માહોલ છે, હાલ ગુજરાતના ગ્રામ્ય અને તાલુકા વિસ્તારોમાં ઓક્સીજન, રેમડેસિવિર ઇન્જેકશન અને કોવિડ-19ની સુવિદ્યાઓનો અભાવ છે જેને કારણે કોરોના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે ખતરનાક બની રહી છે ત્યારે આજે કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરીને ગુજરાતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે તાલુકા કક્ષાએ આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની સુવિદ્યાનો અભાવ, તાલુકા સ્તરે નિષ્ણાંત તબીબોને બદલે માત્ર એમબીબીએસ તબીબો જ સારવાર આપે છે. જે ઘણી વખત યોગ્ય સારવાર નથી કરી શકતા. ત્યારે ગ્રામ્ય સ્તરે આ બાબતને લઇને કોંગ્રેસે ચિંતા દર્શાવી છે.
હાલ કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં તબીબોની અછત હોવા છંતા સરકારે ભરતી પ્રક્રિયા શરૂ નથી કરી. જે અંગે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેશન માટેની કોઇ યોગ્ય કામગીરી થતી નથી. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓમાં દર્દીઓને આઇસોલેશનની સુવિધા વધારવા માટે તાકીદ કરી છે. ઉપરાંત અનેક મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર અનેક આરોપ મુકવાની સાથે મહત્વના સુચનો કર્યાં છે.