અમદાવાદ રેલ્વે અધિકારીઓનો સપાટોઃ એજન્ટોનું ટિકીટો સાથે છેડછાડનું કૌભાંડ ઝડપી લીધુઃ આવા ૫૨ મુસાફરો ઝડપાયા
અમદાવાદથી કોલકતા સુધીની એજન્ટોની સાંકળઃ રાજકોટ સહિત તમામ સ્થળે જાણ કરાઈ : તત્કાલમાંથી ટિકીટો મેળવી છેડછાડ કરી મુસાફરોને મનફાવે તે ભાવે વેચી નાખતા'તા
રાજકોટ, તા. ૫ :. અમદાવાદ રેલ્વેના અધિકારીઓએ રેલ્વે ટિકીટોની કાળાબજાર કરનાર એજન્ટોના નવા નવા પેતરા પકડી લઈ મોટુ કૌભાંડ ઉજાગર કરી નાખ્યુ છે. આ એજન્ટો રેલ્વે ટિકીટો સાથે છેડછાડ કરી મુસાફરોને આપતા હતા અને મનફાવે તેવા રૂપિયા પડાવતા હોવાનું પણ ખુલ્યુ છે.
રેલ્વેના અધિકારીઓને બાતમી મળી હતી કે અમદાવાદના કેટલાક દલાલો કલકતાના દલાલો સાથે મિલીભગત કરી તત્કાલ અને અગ્રણી નાગરિકોના ફોટાની ટિકીટો કોલકતા અને આજુબાજુના રીઝર્વેશન સેન્ટરોમાંથી મેળવી લેતા હતા અને તે ટિકીટમા છેડછાડ કરી મુસાફરોને વેચી મારતા હતા. આ બાતમી બાદ અમદાવાદ રેલ્વેના ડીસીએમ શ્રી રસેન્દ્ર શ્રીવાસ્તવ અને સહાયક ડીસીએમ અતુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડા પાડી અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર ૧લી તારીખે અને ૩ તારીખે કુલ ૫૨ (બાવન) મુસાફરો પાસેથી આવી કૌભાંડી ટીકીટો ઝડપી લઈ સ્થળ ઉપર જ ૫૮ હજારનો દંડ વસુલ કરી લીધો હતો અને બાદમાં રાજકોટ સહિત દરેક રેલ્વે સ્ટેશનો-રીજીયોનલ કચેરીઓને જાણ કરી દેવાય છે જેથી એજન્ટોને પકડી શકાય.