સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં બે પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બોગસ બિલિંગના આધારે કરોડો રૂપિયાના છબરડા કરનાર મુખ્ય આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા
સુરત:શહેરનાસરથાણા જકાતનાકા સ્થિત હરેકૃષ્ણ રેસીડેન્સીમાં રહેતા ફરિયાદી ગૌતમ વાઘજી સુવાગીયા તથા તેના મિત્ર ચિરાગ અશોક મોરડીયાએ ઓનલાઈન વેપાર ધંધો કરવા માટે જીએસટી નંબરની જરૃર પડતાં મુખ્ય આરોપી ધર્મેશ જયંતિ વોરા (રે.નંદબંગ્લોઝ, મોટા વરાછા)નો સંપર્ક કરી જરૃરી દસ્તાવેજો આપ્યા હતા.પરંતુ આરોપીએ ફરિયાદી તથા તેના મિત્રના નામે જીએસટી અન્ય પેઢીઓના નામે જીએસટી નંબર આઈડી પાસવર્ડ મેળવ્યા હતા.ત્યારબાદ ફરિયાદી ગૌતમ સુવાગીયાના નામે જય અંબે એન્ટરપ્રાઈઝના એકાઉન્ટમાં રૃ.5.61 તથા ચિરાગ મોરડીયાના શિવ એન્ટરપ્રાઈઝના નામે 5.53 કરોડનું ટર્નઓવર કરીને ખોટી રીતે ક્રેડીટ ઉસેટીને ઈન્કમ ટેક્સ ભરવાની જવાબદારી ઉભી કરી ઠગાઈ કરી હતી.
જેથી ફરિયાદી તથા તેના મિત્રની પેઢીના નામે માલની સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગના આધારે કરોડો રૃપિયાની ક્રેડીટ ઉસેટવાના કારસામાં સરથાણા પોલીસે કુલ સાત જેટલા આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.હાલમાં આ કેસમાં જેલવાસ ભોગવતા મુખ્ય આરોપી ધર્મેશ વોરાએ જામીન માંગતાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.હાલના આરોપી મુખ્ય આરોપી હોઈ બોગસ બીલીંગના આધારે કરોડો રૃપિયાની ઠગાઈ કરવાના ગુનાઈત કૃત્યમાં ફરી સંડોવાય તેવી સંભાવના છે.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા આરોપીની વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીનની માંગ નકારી કાઢી હતી.