ગુજરાત
News of Sunday, 5th April 2020

ગૃહમંત્રી જાડેજાએ સેવાના નામે ફરતા લોકો પર બ્રેક મારી : ભોજન રાશન કીટ સરકારી તંત્રને આપી દેવા અપીલ : તંત્ર તમામ જરૂરીયાત મંદો સુધી પહોંચાડી દેશે

અમદાવાદ : દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણની ચેઇનને તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે લોકડાઉનની સ્થિતિમાં સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે તમામ ધંધા-ઉદ્યોગો બંધ થઈ જવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તો એવા છે કે, જેઓ રોજનું કમાઈને રોજ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આવા લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોના ઘરમાં ખૂટતા અનાજના જથ્થાને ધ્યાનમાં લઈને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવાનું કામ કરતાં લોકોનું કોરોનાના વાહક બની શકે છે ત્યારે આ આ બાબતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારે નક્કી કર્યું છે કે, સેવાભાવી સંસ્થા ભોજન કે, નાસ્તો જાતે વિતરણ કરવાના બદલે સરકારી તંત્રને સુપરત કરશે, તો જરૂરિયાત મંદ લોકો સુધી તે ભોજનને પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો એનકેન બહાનાઓ બનાવીને રસ્તા પર કામ વગર નીકળી પડતા હોય ત્યારે આવા લોકોની સામે પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે. તો બીજી તરફ DGP શિવાનંદ ઝા દ્વારા પણ રસ્તા પર કામ વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યા છે.

(2:32 pm IST)