ગુજરાત
News of Friday, 5th March 2021

ધોરણ-10માં ગણિત અને વિજ્ઞાનના વિકલ્પમાં ઉપયોગી અંક ગણિત અથવા માનવ જીવન વિજ્ઞાન વિષયો ઉમેરો

નવી શિક્ષણ નિતીના અમલ માટે બનાવેલી ટાસ્ક ફોર્સે સરકાર સમક્ષ વિવિધ ભલામણો મોકલી

અમદાવાદ : રાજયમાં હાલમાં માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજીયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલો છે. પરંતુ આ વિષય ભણવામાંથી મુક્તિ મળી શકે છે. નવી શિક્ષણ નિતીના અમલ માટે બનાવેલી ટાસ્ક ફોર્સ દ્વારા સરકાર સમક્ષ પોતાની ભલામણો મોકલી છે. જેમાં ધોરણ-10 પછી જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા નથી તેમના માટે ગણિત અને વિજ્ઞાન વિષયના બદલે દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા અંકગણિત અને માનવજીવન વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવા ભલામણ કરાઈ છે. આ ઉપરાંત હાલમાં જે વિદ્યાર્થીઓ 5 વર્ષ પુર્ણ કરી ધોરણ-1માં પ્રવેશ મેળવે છે તેઓ હવેથી 5 વર્ષ પુર્ણ થયા બાદ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે. આ માટે પ્રાથમિક શાળા પરિસરમાં જ બાલવાટિકાની રચના કરવામાં આવશે

રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 સંદર્ભે રાજ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની તાજેતરમાં મીટીંગ મળી હતી. મીટીંગમાં રાજ્યકક્ષાએ કરવાના નિર્ણયો માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે શૈક્ષણિક વર્ષ 2021-22થી અમલીકરણના નિર્ણયો અંગે ટાસ્ક ફોર્સમાં સહમતી સધાઈ હતી. જેમાં હાલની 10+2 શિક્ષણના માળખામાં બદલાવ લાવીને નવીન 5+3+3+4 શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવી છે. જેમાં પ્રથમ 5 વર્ષમાં પુર્વ પ્રાથમિકના 3 વર્ષ અને ધોરણ-1 અને 2નો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદના 3 વર્ષમાં ધોરણ-3થી 5, ત્યાર પછી ધોરણ-6થી 8ના 3 વર્ષ અને છેલ્લે ધોરણ-9થી 12ના 4 વર્ષનો સમાવેશ થાય છે.

પ્રથમ 5 વર્ષમાં બે વર્ષ આંગણવાડી-પુર્વ પ્રાથમિકમાં રહેશે. ત્યારબાદનું એક વર્ષ એટલે કે બાળક 5 વર્ષનું થાય ત્યારે બાલવાટિકામાં અભ્યાસ કરશે અને ત્યાર બાદના 2 વર્ષ ધોરણ-1 અને 2માં ભણશે. આમ, બાળક 6 વર્ષનું થશે ત્યારે ધોરણ-1માં આવશે. બાલવાટિકાની રચના પ્રાથમિક શાળઓના ભાગ તરીકે જ જે તે શાળાના પરિસરમાં કરવી જોઈએ તેવી ભલામણ પણ કરાઈ છે. બાલવાટિકાના બાળકોને ધોરણ-1 અને 2ની જેમ પ્રજ્ઞા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

રાજ્યમાં હાલમાં માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. પરંતુ ધોરણ-10ના અંતે આ અભ્યાસક્રમ પુર્ણ થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સિવાય સામાન્ય પ્રવાહ તેમજ અન્ય વ્યવસાયલક્ષી પ્રવાહ તરફ વળે છે. આ વિદ્યાર્થીઓ માટે ગણિત તેમજ વિજ્ઞાન આગળના અભ્યાસ માટે બહુ ઉપયોગી નથી. આથી વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સીસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાન વિષયના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી એવા અંકગણિત તેમજ માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે તેવી પણ ભલામણ કરાઈ છે

ધોરણ-3, 5 અને 8ના અંતે બાળકો માટે ધોરણ-10 અને 12ની જેમ પરીક્ષાનું આયોજન રાજ્યકક્ષાએથી કરવાનું રહેશે. આ અન્વયે ધોરણ-3, 5 અને 8ના અંતે પરીક્ષા લેવા માટેની જવાબદારી જીસીઈઆરટી તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંકલનમાં રાજ્ય પરીક્ષા બોર્ડને આપવામાં આવે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.

રાજ્યમાં ધોરણ-1માં હાલમાં ભાષા તરીકે ગુજરાતી ભાષા અને ગણિત વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ત્રિભાષા સુત્ર અમલીકરણ અન્વયે ધોરણ-1થી ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી વિષયની શરૂઆત કરવામાં આવે. ધોરણ-1થી 3 દરમિયાન શીખવવામાં આવતી અંગ્રેજી ભાષાને જે તે ધોરણની પરીક્ષાનો ભાગ નહીં બને. ધોરણ-4 અને આગળના ધોરણોમાં અંગ્રેજી વિષય પરીક્ષાનો ભાગ બનશે

રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈ પ્રમાણે 60 કરતા ઓછી સંખ્યા હોય અને ધોરણ-1થી 5ની શાળા હોય તેવી શાળાની 1 કિ.મી.ની ત્રિજ્ચામાં વધુ સંખ્યાવાળી ધોરણ-1થી 5ની શાળા આવેલી હોય તેમાં તે શાળાને મર્જ કરવી. ધોરણ-6થી 8 ચાલતુ હોય અને 45ની સંખ્યા હોય તેમજ 3 કિ.મી.ની ત્રિજ્યામાં વધુ સંખ્યાવાળી શાળા હોય તો તે મર્જ કરવી. અને મર્જ વખતે હાઈવે પસાર થતો હોય અથવા નદી હોય તો મર્જ કરવાની રહેશે નહીં.

(11:23 pm IST)