મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ યોજના: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
MYSY અંતર્ગત ડિપ્લોમાં ઈજનેરીના ૩૫૨ વિદ્યાર્થીઓને ૬.૮૬ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય અપાઇ
અમદાવાદ :ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના ચોથા દિવસે ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ યોજના છે.
આ અંગે વિગતો આપતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું કે, તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં આ યોજના અંતર્ગત ટેક્નિકલ શિક્ષણ હેઠળના ડિપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં ૩૫૨૦ વિદ્યાર્થીઓને રૂા.૬.૮૬ કરોડની ઉચ્ચ શિક્ષણ સહાય આપવામાં આવી છે. જે પૈકી ૨૯૮૧ વિદ્યાર્થીઓને રૂા.૫.૭૦ કરોડ અને કુલ ૫૩૯ વિદ્યાર્થિનીઓને રૂા. ૧.૧૬ કરોડની રકમ ચૂકવવામાં આવી છે.
મંત્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ઉચ્ચ શિક્ષણનાઅભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવકના ધોરણે આર્થિક સહાય આપવાનો છે.