આ ભાજપની જીત નહી ઇવીએમની કમાલ, લોકશાહી ખતમ કરવાની સાજીસ : વસાવા
અમદાવાદ તા. ૫ : નર્મદા અને ભરૂચ જિલ્લામાં બીટીપી અને કોંગ્રેસનો બીલકુલ સફાયો થઇ ગયો છે. બીટીપીના સર્વેસર્વા છોટુભાઇ વસાવાના પુત્ર દીલીપ વસાવાની રાજપારડી જિ.પં. બેઠક પરથી અને છોટુભાઇ વસાવાના જમણા હાથ ગણાતા ભરૂચ જિ.પં. ના પૂર્વ ઉપપ્રમુખ અનીલ ભગતનો પણ કારમો પરાજય થયો છે. ત્યારે આ હાર સ્વીકારી લેતા બીટીપીના છોટુભાઇ વસાવા અને મહેશભાઇ વાસાવાએ જણાવ્યુ છે કે આ ભાજપની જીત નહી, પણ ઇવીએમની કમાલ છે.
તેઓએ જણાવ્યુ કે એકરીતે લોકશાહી ખતમ કરવાની સાજીસ ચાલી રહી છે. વિધાનસભા અને લોકસભામાં વીવીપેટ હોય છે તો સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કેમ નહી? સીડયુલ પ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇકો સેન્સેટીવ ઝોન મુદ્દે અમારી લડત ચાલુ રાખીશુ. પરીણામથી અમને કોઇ ફરક નહી પડે.
૩ બાળકો હોય એ તાલુકા, જિલ્લા કે ગ્રામ પંચાયતની ચુંટણી લડી ન શકે તેવો નિયમને પણ અમે કોર્ટમાં પડકારીશું. તેમ છોટુભાઇ વસાવા અને મહેશભાઇ વસાવાએ અંતમાં જણાવેલ છે.