વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા : નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા થયા ભારે ગુસ્સે
મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું "ચૂંટણી જીત્યા પછી નહીં છોડું" : અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી ગયો
વડોદરા : વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં ઘેરાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ ગયો છે અને હવે પાર્ટીના ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ગઈકાલે નાની ભાગોળ ખાતે યોજાયેલ તેમની સભામાં ડીજે બંધ કરાવતા તેમણે ધમકી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, 'ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ, અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.' અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે. આ સાથે ફરી અધિકારીઓને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.
અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.