કેવડિયા ખાતે ભાજપા ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક : વિવિધ રાજકીય પ્રસ્તાવો, 5 રાજ્યોની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા
પ્રદેશ ભાજપ ઓબીસી મોરચા પ્રમુખ ઉદય કાનગડ તથા દેશના 125 થી વધુ ઓ.બી.સી મોરચાના આગેવાનો ઉપસ્થિત
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ભાજપા ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકના પ્રથમ દિવસે ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને ઓબીસી મોરચા પ્રભારી અરૂણસિંહ, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કે લક્ષ્મણ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ખેડાના સાંસદ દેવું સિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપ ઓબીસી મોરચા પ્રમુખ ઉદય કાનગડ તથા દેશના 125 થી વધુ ઓ.બી.સી મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી બેઠકમાં વિવિધ રાજકીય પ્રસ્તાવો, 5 રાજ્યોની ચૂંટણીની રણનીતિ અને એ ચૂંટણીમાં ઓ.બી.સી ની શુ ભૂમિકા હશે એની ચર્ચાઓ કરવામાં આવી હતી.5 મી ડિસેમ્બરના રોજ કારોબારી બેઠકના સમાપનના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા બિહારના નાયબ મુખ્યમંત્રી ખાસ ઊપસ્થિત રહેશે.
ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.કે.લક્ષ્મણએ જણાવ્યું હતું કે અમે 5 રાજ્યોની ચૂંટણીમાં વિકાસ અને કલ્યાણના મુદ્દાઓ સાથે ઉતરીશું. જ્યાં ભાજપ સરકાર નથી ત્યાં ઓ.બી.સી મોરચો અને સમાજ પુરી તાકાત લગાવી ભાજપને સત્તા પર લાવવાના પ્રયત્નો કરશે.
કોંગ્રેસના ગાંધી પરિવારે એમના પારિવારિક હિતના કાર્યો કર્યા છે.પશ્ચિમ બંગાળમાં ઓ.બી.સી ની સ્થિતિ મુદ્દે જણાવ્યું હતું કે ત્યાં વૉટ બેંક ઉભી કરવા મુસ્લિમ સમુદાયને ઓ.બી.સી નો દરજ્જો આપી ઓ.બી.સી ના હકો છીનવી રહ્યા છે, ઓ.બી.સી મોરચો એ મામલે લડત લડતા ખચકાશે નહિ.
બે અથવા પાંચ મુસ્લિમ સમુદાય માટે ઓ.બી.સી આરક્ષણ બરાબર છે પણ આખા મુસ્લિમ સમાજને ઓ.બી.સી નો દરજ્જો આપવો ન જોઈએ.27% આરક્ષણમાં 17% ફકત મુસ્લિમ સમાજને ઓ.બી.સી આરક્ષણ મળે છે.આ મુદ્દે અમે આખા દેશમાં લડત ઉપડીશું.