ગુજરાત
News of Friday, 4th December 2020

સુરતમાં વિચિત્ર કિસ્‍સોઃ પત્‍નીના ત્રાસથી પતિનો આપઘાતઃ દિવાલ ઉપર લખ્‍યુ ‘મારા મોત માટે મારી પત્‍ની જવાબદાર': મોબાઇલ સ્‍ટેટસમાં લખ્‍યુ ‘બાય બાય જીંદગી...'

સુરત:  સામાન્ય રીતે પતિઓનાં ત્રાસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે આજે સુરતમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પત્નીના ત્રાસના કારણે પતિએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવકે પોતાની આત્મહત્યા માટે પત્નીને જવાબદાર ઠેરવી હતી. દિવાલ પર તેણે હિન્દીમાં લખ્યું હતું કે મારા મોત માટે મારી પત્ની જવાબદાર છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.

 સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા સરોજીની નાયડુ શાકમાર્ટે પાસે અક્ષરદિપ એપાર્ટમેન્ટમાં રહેતા યાજ્ઞીક દિપકભાઇ ખલાસી નામના વ્યક્તિ પોતાનાં બેડરૂમમાં છતમાં રહેલા હુક સામે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટના અંગે પાડોશીઓને માહિતી મળતા પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસે પહોંચીને બેડરૂમમાં જોતા યુવકે બેડરૂમમાં લખ્યું હતું કે, મારા મોતનું કારણ મારી પત્ની ધર્મિષ્ઠા છે. ત્યાર બાદ મુજે ઇન્સાફ ચાહીયે તેવા પ્રકારનું હિન્દીમાં લખાણ લખાયેલું હતું.

હાલ પોલીસ દ્વારા યુવાનનો મૃતદેહ ઉતારીને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, યુવાનનું મોત 24થી 48 કલાક પહેલા થયું હતું. ગળેફાંસો લાગવાથી શ્વાસ રૂંધાવાને કારણે તેમનું મોત નિપજ્યું હતું. યાજ્ઞિક હજીરાની કંપનીમાં નોકરી કરે છે અને સંતાનમાં એક પુત્રી છે. તેણે આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઇલ સ્ટેટસમાં પણ બાય બાય જિંદગી લખ્યું હતું.

(5:39 pm IST)